દેશની 28 બેંકોમાંથી 22 હજાર 842 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે રાજકીય ગરમાવો, 15 વર્ષ પહેલા CAGના રિપોર્ટમાં મહત્વનો ખુલાસો થયો હતો
ABG શિપયાર્ડ બેેંકિગ ફ્રોડ કેસનો મામલો
15વર્ષ પહેલા કેગના રિપોર્ટમાં થયો હતો ખુલાસો
28 બેંકોસાથે 22,842 કરોડની છેતરપિંડી
દેશની 28 બેંકોમાંથી 22 હજાર 842 કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે.જે દેશનું સૌથી મોટું બેંકિંગ કૌભાંડ કહેવામાં આવી રહ્યું છે. આ મામલામાં સીબીઆઈએ 7 ફેબ્રુઆરીએ એફઆઈઆર નોંધી છે, જેમાં એબીજી શિપયાર્ડ લિમિટેડના ચેરમેન ઋષિ કમલેશ અગ્રવાલ, એમડી સંથાન મુથુસ્વામી ઉપરાંત કંપનીના ત્રણ ડિરેક્ટરોને આરોપી બનાવાયા છે, દેશની સૌથી મોટી સરકારી બેંક SBIની ફરિયાદ આધારે FIR કરવામાં આવી છે.
રાજનીતિમાં ગરમાવો
બેંકિંગ ઇતિહાસમાં સૌથી મોટો ગોટાળો સામે આવ્યા બાદ રાજનીતિ તેજ બની છે. કોંગ્રેસે FIR મોડી દાખલ કરાવવા અંગે સરકાર પર સકંજો કસ્યો છે તો નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બેંકોએ ઓછા સમયમાં જ આ ગોટાળો પકડી પાડ્યો. તમામ આરોપીઓ વિરુદ્ધ સીબીઆઇએ ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને વિશ્વાસભંગના ગુનાહિત કેસ નોંધ્યા છે. 1985 માં શરૂ થયેલ, ABG શિપયાર્ડ જહાંજ બનાવવા અને તેના સમારકામનું કામ કરે છે.
15 વર્ષ પહેલા CAGના રિપોર્ટમાં મહત્વનો ખુલાસો થયો હતો
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)નો રિપોર્ટ 15 વર્ષ પહેલા એટલે કે 2007માં આવ્યો હતો. આ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે ઓક્ટોબર 2007માં 1.21 લાખ ચોરસ મીટર જમીન ABG શિપયાર્ડને અડધી કિંમતે આપવામાં આવી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ જમીનની કિંમત 1400 રૂપિયા પ્રતિ ચોરસ મીટર હતી, પરંતુ તે ABG શિપયાર્ડને 700 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના દરે આપવામાં આવી હતી. જેના કારણે રાજ્ય સરકારને 8.46 કરોડનું નુકસાન થયું હતું.
ગુજરાત કનેક્શન
એબીજી શિપયાર્ડના ચેરમેન ઋષિઅગ્રવાલ છે સુરતના રહેવાસી.
આવી રીતે સામે આવી છેતરપિંડી
જ્યારે કોઈ લોન ફ્રોડ થશે તેનો નિર્ણય બેંકોની ફોરેન્સિક રિપોર્ટના આધાર પર કરવામાં આવે છે. જાન્યુઆરી 2019માં 28 બેંકોના કંસોર્ટિયમે ફોરેન્સિક રિપોર્ટ પર તપાસ કરી.
આ મીટિંગમાં ખુલાસો થયો કે એબીજી શિપયાર્ડે એપ્રિલ 2012થી જુલાઈ 2017 વચ્ચે 28 વિવિધ બેંકો પાસેથી બિઝનેસના નામે રૂ. 22,842 કરોડની લોન લીધી હતી.
એબીજી શિપયાર્ડે જે બેંકો પાસેથી છેતરપિંડી કરી છે તેમાં માત્ર 6 બેંકો પાસે 17,734 કરોડ રૂપિયાની રકમ બાકી છે.