૭ મહિના પહેલા જ લોકો માટે ખુલ્લી મુકવામાં આવેલ અને સરકારી હોસ્પિટલ પ્રાઈવેટ હોસ્પિટલને ટક્કર મારે એવી બનાવવામાં આવી હોવાની બણગાઈઓ જેને લઈને મારવામાં આવતી હતી તે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલના ચાર ઓપરશન થીયેટર બંધ થતા જ હોબાળો મચ્યો છે. કોંગ્રેસે ૭૫૦ કરોડની હોસ્પીટલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું કહીને તપાસ કરવા મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે.
લોકસભા ચૂંટણી પહેલ અમદાવાદની વીએસ હોસ્પિટલની પાછળના ભાગે તૈયાર થયેલ એસવીપી હોસ્પિટલ લોકો માટે ખુલ્લી મુકવામાં આવી. ૭૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ કરતા પણ વધારે અત્યાધુનિક હોવાનું ગૌરવ પણ લેવામાં આવ્યું. જો કે સમય બદલાયો અને ૭૫૦ કરોડની હોસ્પિટલના પોપડા પહેલી જ વરસાદી સિઝનમાં જોવા મળવા લાગ્યા.
અગાઉ રેસીડેન્સીયલ ડોક્ટરના રૂમમાં પાણી ટપકવું, ત્યારબાદ પીઓપીની છત પડી જવી અને હવે પાણી લીકેજના કારણે ચાર ઓપરેશન થીયેટર બંધ કરવા પડ્યા છે. એસવીપી હોસ્પીટલની પાણી લાઈનમાં લેકેજના કારણે ઓ.ટી બંધ થયા હોવાનું સામે આવ્યું હતું. જે પાઇપલાઇન સમારકામ કરવામાં આવ્યું હતું તેનું શુટિંગ કરી રહેલ મીડિયાને પણ અટકાવવામાં આવી હતી. સિક્યોરીટી ગાર્ડ પણ જણાઈ રહ્યા હતા કે ઉપર થી ઓર્ડર છે એટલે મીડિયાને શુટિંગ કરવા નહી દેવાય. વિટીવીની ટીમ સત્ય બાબતો દર્શાવી રહી હતી એટલે અમારી સર્હે પણ ગાર્ડ સંઘર્ષ પર ઉતરી આવ્યા હતા.
ઓપરેશન બંધ કરવા પડવાની પોતાની નિષ્ફળતા લોકો સુધીનાં પહોચે તે માટે તંત્ર એ સિક્યોરીટી ગાર્ડને આગળ ધરી દઈને તેમને સંઘર્ષમાં પણ ઉતરી જવાના આદેશ આપી દેવાયા હતા. ૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ હોસ્પીટલમાં વારંવાર સામે આવી રહેલ આવા બનાવો બાદ કોંગ્રેસે પણ સરકાર સામે આક્ષેપો કર્યા છે અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ મુખ્યમંત્રીને પત્ર લખી હોસ્પિટલ નિર્માણ કરનાર કંપની સામે તપાસ કરાવવા માંગ કરી છે. સાથે જ હોસ્પીટલમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ કર્યા છે.
ચાર ઓપરેશન થીયેટર બંધ થતા જ કોંગ્રેસે એસવીપી હોસ્પીટલમાં ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરીને તપાસ કરાવવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. મહત્વનું છે કે આ અગાઉ પણ હોસ્પીટલની સેવાઓ અને સ્ટ્રક્ચરને લઇ અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે ત્યારે પ્રસાશન પાસે કોઈ જવાબ નથી.