ગુજરાત કોંગ્રેસ આ વખતે ચૂંટણી ઉમેદવારના નામ વહેલા જાહેર કરશે,બિમલ શાહે કહ્યું કોંગ્રેસે 58 ઉમેદવારોની યાદી તૈયાર કરી દીધી છે
VTV પર કોંગ્રેસના ઉમેદવારોને લઈ મહત્વની ખબર
વર્ષો જૂની રણનીતિમાં કોંગ્રેસ કરશે મોટો બદલાવ
'કોંગ્રેસની પ્રથમ યાદી થઈ ગઈ છે તૈયાર'
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો બંધ બાજી ઉઘાડતા જાય છે. AAPની એન્ટ્રીથી પ્રથમ વખત ગુજરાતમાં રસાકસી ભર્યો ત્રિપાખીયો જંગ ખેલોશે. એક તરફ ભાજપ અત્યારથી માઈક્રો પ્લાનિંગ કરી લોકો સુધી પહોંચવાની રણનીતિ બનાવી રહ્યું છે. ગુજરાત AAP પાર્ટીએ રાજ્યમાં ચૂંટણી જાહેર થયા તે પહેલા ઉમેદવારો જાહેર કરી નવો ચીલો ચીતર્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ 'આપના' રસ્તે જઈ રહી હોય તેવુ લાગી રહ્યું છે.
58 ઉમેદવારોની યાદી તૈયાર કરી હાઈકમાન્ડની મંજૂરી લેવાઈ
ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ગમે તે ઘડીએ કોંગ્રેસ ઘારાસભ્યના મુરતીયાની પ્રથમ યાદી જાહેર થઇ શકે છે. કોંગ્રેસની 58 ઉમેદવારોની યાદી તૈયાર થઈ ચૂકી છે.ઉમેદવારનું લિસ્ટ પણ હાઇકમાન્ડને મોકલી દેવામાં આવ્યું હતું જેણે મંજૂરી પણ મળી ગઈ છે. મહત્વનું છે કે છેલ્લી 3 ટર્મથી હારતી બેઠકના ઉમેદવાર નક્કી કરી કોંગ્રેસ હારેલી સીટને કબજે કરવાની રણનીતિ બનાવી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જો કોંગ્રેસ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરે તો પ્રથમ વાર બનશે કે વિધાનસભા ચૂંટણીમાં પ્રથમવાર કોંગ્રેસ આટલી જલ્દી લિસ્ટ જાહેર કરશે. નહીં તો આમ કોંગ્રેસ ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ જ ઉમેદવારોની જાહેરાત કરતું હોય છે. ત્યારે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ આ નવા દાવથી કાઠું કાઢી શકશે કે નહીં?
કોંગ્રેસ સપ્ટેમ્બરના અંતમાં 58 ઉમેદવારોના નામ કરશે જાહેર: બિમલ શાહ, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ
આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ બિમલ શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. સપ્ટેમ્બર માસના અંતમાં ઉમેદવારોના નામ કરાશે જાહેર કરી તેવામાં આવશે. શહેરી બેઠકોના ઉમેદવારોના નામ વહેલા જાહેર કરાશે. છેલ્લા ત્રણ ટર્મથી હારતી બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જલ્દી જાહેર કરશે. વધુ વિગત આપતા તેઓએ કહ્યું કે ઉમેદવારોનું લિસ્ટ હાઈકમાન્ડને મોકલાયું હતુ. જાહેર કરવામાં આવનાર 58 બેઠકો માટે કોંગ્રેસને ચૂંટણી લડવા 600થી વધુ ઉમેદવારોના બાયોડેટા મળ્યા હતા. વરસાદને કારણે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને બાયોડેટા મોકલવા સમય લંબાવાયો છે. સીટિંગ MLAની સીટ પરથી મર્યાદીત બાયોડેટા મળ્યા છે જ્યારે SC અનામત બેઠકો પર અઢળક ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.
કોંગ્રેસની નવી રણનીતિથી ફાયદો કે નુકસાન
રાજકિય પંડિતો માની રહ્યા છે કે હારેલી સીટ પર જો કોંગ્રેસ ઉમેદવાર અત્યારથી જાહેર કરી દે તો ફિફ્ટી ફિફ્ટી ફાયદો અને નુકસાન થઈ શકે છે કારણ કે ઉમેદવારોને લોકો સુધી પહોંચશે જેથી પૂરતો ફાયદો મળશે તો બીજી તરફ આંતરિક વિખવાદનો ઉકલતો ચરુ બહાર આવતા જ ગમે ત્યારે કોંગ્રેસના પાયા ડગમગાવી શકે છે. ખેર રાજનીતિમાં કહેવાય છે કે બધુ જ નક્કી હોય છે સમયે સમયે પત્તા ખૂલતાં કાવાદાવા બહાર આવે છે. ત્યારે જોવું રહ્યું કે અન્ય પક્ષોને માત આપવાની ભાજપની માહિર રણનીતિ ગુજરાત કોંગ્રેસના આ ખેલને કઈ રીતે સમજે છે અને કઈ રીતે પોતાના સોગઠાં ગોઠવે છે.