ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું છે. ભાજપ પોતાની ત્રણેય બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને પક્ષ છોડીને જતા રોકવા માટે મહેનત કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે 4 અને આજે 1 ધારાસભ્ય મળીને કુલ 5 ધારાસભ્યોના રાજીનામાં બાદ ભાજપનું પલડું ભારે થઇ રહ્યું છે ત્યારે કોંગ્રેસના બે ધારાસભ્ય હાલ સંપર્ક વિહોણા છે ત્યારે જો આ બે રાજીનામાં પડશે તો ભાજપની રાજ્યસભાની ત્રણેય બેઠક પર જીત લગભગ નક્કી થઇ જાય તેવી અટકળો દેખાઇ રહી છે.
ગુજરાત કોંગ્રેસના બે ધારાસભ્ય સંપર્ક વિહોણા
કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીનો બે દિવસતી સંપર્ક નહીં
કોંગ્રેસના બે ધારાસભ્યો હાલ જે સંપર્ક વિહોણા છે તેમાં કપરાડાના જીતુ ચૌધરી જ્યારે બીજા બેચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરનો હાલ સંપર્ક થઇ રહ્યો નથી. આમ આજે જો બીજા બે ધારાસભ્યો રાજીનામાં આપશે તો કોંગ્રેસના બંને ઉમેદવારોની જીત લગભગ અશક્ય થઇ જાય તેવું લાગી રહ્યું છે.
કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી સતત બે દિવસથી સંપર્કમાં નહીં
કોંગ્રેસના ધારાસભ્ય જીતુ ચૌધરી સતત બીજા દિવસે પણ સંપર્ક વિહોણા રહ્યાં છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુ્ખ દ્વારા હાલમાં તેમને સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જીતુ ચૌધરીનો સંપર્ક કરવા માટે કોંગ્રેસ દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ હવે જીતુભાઈ ચૌધરી પણ રાજીનામુ આપે તેવી અટકળો ચાલી રહી છે.
જ્યારે બીજી ગુજરાત કોંગ્રેસના બીજા એક ધારાસભ્યનો પણ સંપર્ક થઇ રહ્યો નથી. બેચરાજી કોંગ્રેસના ધારાસભ્ય ભરત ઠાકોર સંપર્ક વિહોણા થયા છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓની સતત વોચ છતાં ભરત ઠાકોરનો કોઇ સંપર્ક થઇ રહ્યો નથી. એવી ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસના જ નેતા મુકેશ પટેલ ભરત ઠાકોરને અજ્ઞાત સ્થળે લઇ ગયા છે. મુકેશ પટેલ ભાજપના નેતાઓના સંપર્કમાં હોવાની શક્યતા છે.