છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ કોંગ્રસના નેતાઓની નેતાગીરીથી નારાજ છે. હાર્દિક પટેલ.. કોંગ્રેસ છોડવાના સંકેતો પર સંકેતો આપી રહ્યો છે. ત્યારે હવે જગદીશ ઠાકોરે મહત્વનું નિવેદન આપ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ છે હાર્દિક પટેલ
કેટલાક નેતાઓ ઈચ્છે છે હાર્દિક કોંગ્રેસ છોડી દેઃ હાર્દિક પટેલ
ટ્વિટ બાદ હાર્દિક પટેલ સાથે ફોન પર વાત થઈઃ જગદીશ ઠાકોર
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અગ્રણી પાટીદાર નેતા હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ છે. ત્યારે આજે હાર્દિક પટેલ ફરી એક વખત નામ લીધા વગર કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કર્યા છે. હાર્દિક પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ હોવાનું અનેક વખત જણાવી ચૂક્યા છે. ત્યારે હવે આજે હાર્દિકે કરેલા ટ્વિટ અંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
જે કંઈ પક્ષીય પ્રશ્નો હશે એનો નિવેડો લાવવામાં આવશેઃ જગદીશ ઠાકોર
જગદીશ ઠાકોરે કહ્યું કે, ટ્વિટ બાદ હાર્દિક પટેલ સાથે ફોન પર વાત થઈ છે. ટ્વિટ કરવાથી પાર્ટીને નુકસાન થાય છે. હાર્દિકના પ્રશ્નો અંગે અમારી વાત ચાલી રહી છે. જે કંઈ પક્ષીય પ્રશ્નો હશે એનો નિવેડો લાવવામાં આવશે. એમના પિતાની પુણ્યતિથી બાદ એમના સાથે મુલાકાત કરી વાત કરીશું.
હાર્દિક પટેલે શું કર્યું હતું ટ્વિટ ?
હાર્દિક પટેલે ટ્વિટર પર ટ્વિટ કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. હાર્દિક પટેલે ટ્વિટ કરીને કોંગ્રેસના નેતાઓ પર સીધા પ્રહાર કરતાં જણાવ્યું છે કે, કેટલાક નેતાઓ ઈચ્છે છે હાર્દિક કોંગ્રેસ છોડી દે, આ ટ્વિટમાં હાર્દિકે કેટલાક નેતાઓ તેનું મનોબળ તોડવા માંગતા હોવાનું પણ કહ્યું છે. જો કે, હાર્દિકે કોંગ્રેસમાં જ રહેવાની ઈચ્છા વ્યકત કરી છે. આ સાથે હાર્દિકે કેન્દ્રિય નેતાગીરી પાસે સમસ્યાના ઉકેલ માટે પણ અપીલ કરી છે. અને કહ્યું છે કે, હું આશા રાખું છું કે કેન્દ્રીય નેતાઓ કોઈ રસ્તો કાઢશે.
I am in Congress currently. I hope the central leaders find a way so that I continue to remain in the Congress. There are others who want Hardik to leave the Congress. They want to break my morale. @NewIndianXpresspic.twitter.com/zW1oHf5m52
હાર્દિક પટેલની નારાજગીને અંગે શક્તિસિંહ ગોહિલનું નિવેદન
હાર્દિક પટેલની નારાજગી મુદ્દે શક્તિસિંહે કહ્યું કે, હાર્દિક યુવાન નેતા છે તેની લાંબી કેરિયર છે. મેં તેને નાનાભાઈ જેમ રાખ્યો છે. કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે, જ્યારે ભાજપમાં કોઇ બોલી શકતું નથી. જોકે શક્તિસિંહે સલાહ આપતા કહ્યું કે, આંતરિક લોકશાહી છે પરંતુ શિસ્તમાં રહેવું જરૂરી છે. આંતરિક લોકશાહી અશિસ્ત સુધી ન જાય. પક્ષને નુકસાન થાય તેવું જાહેરમાં ન બોલવું જોઇએ. કોંગ્રેસમાં હીરો હોય, ભાજપમાં જઇને ઝીરો થયા છે. કેટલાક લોકો અનુભવ લઇને પાછા પણ આવ્યા છે. નારાજ લોકો અમારા સંપર્કમાં હોય છે. તે સિવાય વધતી મોંઘવારીને લઈને પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા. સાથે કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ક્યા મુદ્દાઓ સાથે ઉતરશે તેની પણ માહિતી આપી હતી.
રેશ્મા પટેલે NCPમાં જોડાવા હાર્દિક પટેલને આમંત્રણ આપ્યું
છેલ્લા સમયથી હાર્દિક પટેલ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલી રહેલી નારાજગી વચ્ચે NCPના પ્રદેશ મહિલા પ્રમઉખ રેશ્મા પટેલે મોટું હાર્દિક પટેલને NCPમાં જોડાવવાનું આમંત્રણ આપતાં ગુજરાતના રાજકારણમાં પુનઃ ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. મહત્વનું છે કે, રેશ્મા પટેલે જણાવ્યું મારી હાર્દિક ભાઈને હાર્દિક સલાહ છે કે, જો તેઓ ભાજપમાં જવાનું વિચારતાં હોય તો ટાળે, અમે ડૂબકી મારીને બહાર નીકળ્યાં છે.