ભાવનગરમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું મોટું નિવેદન; PM કે ગૃહમંત્રી એક મહિનો ગુજરાતમાં રહેશે તો પણ હારશે અને ભાજપની 70 સીટ પણ આવવાની નથી
જયનારાયણ વ્યાસ મુદ્દે જગદીશ ઠાકોરનું નિવેદન
"જયનારાયણ વ્યાસની ટિકિટ તો 15 વર્ષથી કપાઈ છે"
"આ વખતે ભાજપની 70 સીટ પણ આવવાની નથી"
ગુજરાત વિધાનસભાની બ્યૂગલ વાગી ચૂંક્યા છે. અને રાજકીય પક્ષોની પૂરજોશમાં તૈયારીઓ પણ ચાલી રહી છે. ત્રણય પક્ષો ચૂંટણી જીતવા તમામ પ્રયાસો હાથ ધરી દીધા છે. આ તમામની વચ્ચે પક્ષપલટાથી લઈ અને આરોપ પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયા છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય ધમપછાડા પણ શરૂ થઈ ગયા છે. રાજકીય નિવેદન બાજીમાં જગદીશ ઠાકોરનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. ભાવનગરમાં કોંગ્રેસ પ્રેદશ પ્રમુખ જગદીશ ઠાકોરનું જયનારાયણ વ્યાસ મુદ્દે નિવેદન સામે આવ્યું છે. જેમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.
જગદીશ ઠાકોરે ભાજપ પર કર્યા પ્રહાર
જગદીશ ઠાકોરે તમણે ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે, આ વખતે ભાજપની 70 સીટ પણ આવવાની નથી. તેમણે ઉમેર્યું હતું કે, PM મોદી કે ગૃહમંત્રી અમિત શાહ એક મહિનો ગુજરાતમાં રહેશે તો પણ ભાજપની હાર નક્કી છે
જયનારાયણ વ્યાસને મુદ્દે જગદીશ ઠાકોરનું નિવેદન
ભાવનગરમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું જયનારાયણ વ્યાસને મુદ્દે નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, જયનારાયણ વ્યાસની ટિકિટ તો 15 વર્ષથી કપાઈ છે. 15 વર્ષ ટીકિટ કપાયા છતાં તેઓ ભાજપમાં જ રહ્યા હતા તેમ પણ જણાવ્યું હતું. તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, હવેનો સમય એવો છે કે ભાજપના સભ્યો અપમાનિત થાય છે અને જે કાર્યકરોએ ભાજપના છોડને પરસેવો આપ્યો તેને ભાજપ જ કાપે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકરો પોતાના દુઃખના કારણે પાર્ટી છોડી રહયા છે.
વ્યાસના રાજીનામા બાદ અટકળો તેજ
ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. એવું જાણવા મળ્યું હતું કે, તેઓ લાંબા સમયથી ભાજપથી નારાજ હતા. તેમણે પાટણ જિલ્લા ભાજપથી કંટાળીને રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે ચૂંટણી લડવાનો હુંકાર કરતા જણાવ્યું હતું કે, હું ચૂંટણી લડીશ. સિદ્ધપુરના ગરીબ લોકો માટે કામ કરવા રાજકારણમાં આવ્યો છું. મારા માટે કોંગ્રેસ અને આપ બન્નેમાં દ્વાર ખુલ્લા છે. મારી પાસે કોંગ્રસ અને આમ આદમી પાર્ટી બંને ઓપ્શન છે. હવે જયનારાયણ વ્યાસ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે ચર્ચાઓ તેજ બની છે. ચર્ચા અનુસાર તેઓ કોંગ્રસમાં જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જયનારાયણ વ્યાસે અમદાવાદના સર્કિટ હાઉસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ બન્ને રાજકારણીઓ વચ્ચે 45 મિનિટ જેટલી ચર્ચા થઇ હતી. ત્યારે જ તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જતા રહેશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.