સોનભદ્રમાં નરસંહાર બાદ પીડિત પરિવારજનોને મળવા જતા પ્રિયંકા ગાંધી વાડ્રાની અટકાયત કરાતા તેની આગ ગુજરાત સુધી પહોંચી. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની અટકાયતને પગલે ગુજરાત કોંગ્રેસ દ્વારા કોચરબ આશ્રમ ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
સોનભદ્રમાં બુધવારે થયેલા ગોળીબાર કાંડ બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પીડિતોને મળવા જઇ રહ્યા હતા. જોકે યુપી પોલીસે તેમની પીડિતોને મળે તે પહેલા અટકાયત કરી હતી. જેનો પ્રિયંકા ગાંધી અને તેમના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો. ત્યારે સોનભદ્રની આગ ગુજરાત સુધી પહોંચી હતી.
પ્રિયંકા ગાંધીની અટકાયતને પગલે આજે કોંગ્રેસ કાર્યકરો દ્વારા કોચરબ આશ્રમ ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સોનભદ્ર નરસંહારના પરિવારજનનોને મળવા જઇ રહેલા પ્રિયંકા ગાંધીને રોકી દેવાતા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું અને લોકશાહી બચાવો, સંવિધાન બચાવોના નારા સાથે દેખાવો કર્યા. વિરોધ પ્રદર્શનમાં રાજીવ સાતવ, પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ નેતાઓની અમદાવાદ પોલીસે અટકાયત કરી હતી.
આપને જણાવીએ કે, સોનભદ્રમાં બુધવારે થયેલા ગોળીબાર કાંડમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોની મુલાકાત કરવા ગયેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પાછા ફરવાની અધિકારીઓની સલાહ ન માનતા ચૂનાર ગેસ્ટ હાઉસમાં આખી રાત વિતાવી. પ્રિયંકા અને અધિકારીઓ વચ્ચે રાત્રે લગભગ 12:00 વાગ્યાથી 1:15 વાગ્યા સુધી ચાલેલી વાતચીત નિષ્ફળ રહી અને પ્રિયંકા ગાંધી અને તેમના સેંકડો સમર્થક ચૂનાર ગેસ્ટ હાઉસમાં રહ્યા.
પ્રિયંકા ગાંધીએ મોડી રાત્રે કરેલા એક પછી એક ટ્વિટમાં જણાવ્યું કે ઉત્તર પ્રદેશ સરકારે વારાણસી ઝોનના પોલીસ મહાનિર્દેશક બૃજભૂષણ, વારાણસીના મંડલાયુક્ત દીપક અગ્રવાલ અને અને પોલીસ ઉપમહાનિરીક્ષકને મને એ કહેવા માટે મોકલ્યા કે હું પીડિતોને મળ્યા વગર પાછી ચાલી જાઉં. એમણે મને અટકાયતમાં રાખવાનો કોઇ કારણ પણ ન જણાવ્યું કે ન કોઇ કાગળ બતાવ્યા.