કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ફરીવાર ગુજરાત આવશે. 19 ડિસેમ્બરે ફરીવાર અમદાવાદ આવશે અને તેમના આગમને પગલે ગુજરાત કોંગ્રેસ નેતૃત્વમાં બદલાવનની અટકળો વધુને વધુ તેજ બની રહી છે.
ગુજરાત કોંગ્રેસ થઈ શકે છે મોટો બદલાવ
કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ફરી એકવાર આવશે ગુજરાત
19 ડિસેમ્બરે અમદાવાદ આવશે પ્રભારી રાજીવ સાતવ
રાષ્ટ્રીય કોંગ્રેસમાં બદલાવ બાદ જ ગુજરાતમાં બદલાવની શકયતા
નેતા બદલવા તૈયાર થયેલ રિપોર્ટ પર દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે ચર્ચા બાદ રાજીવ સાતવ ગુજરાત આવી રહ્યા હોવાની વાત ચર્ચાઈ રહી છે. ચર્ચા બાદ ફરીવાર ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે બેઠકો કરશે. રાષ્ટ્રીય કોંગ્રેસમાં બદલાવ બાદ જ ગુજરાતમાં બદલાવની શકયતા દેખાઈ રહી છે.
અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીના રાજીનામું આપવાના પ્રસ્તાવ અંગે અવઢવ
રાજનૈતિક સૂત્રોએ જણાવ્યું હતું કે, વિધાનસભાની પેટાચૂંટણીમાં હાર મળ્યા બાદ, GPCC અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીના રાજીનામું આપવાના પ્રસ્તાવ અંગે પાર્ટીએ નિર્ણય લીધો નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતથી રાજ્યસભાના સાંસદ અહમદ પટેલના નિધનના કારણે સંગઠનમાં ફેરફારના નિર્ણયને આગળ સ્થગિત કરવામાં આવ્યો હતો.
'હવે રાજીવ સાતવે વિધાનસભાની પેટાચૂંટણીમાં પાર્ટીની હાર અંગે કોંગ્રેસની અંદર વિવિધ મંતવ્યોની પ્રતિક્રિયા લીધી છે. કાર્યકરોથી લઈને જિલ્લા પ્રભારીઓએ કહ્યું કે, ચાવડા અને ધાનાણીનું નેતૃત્વ બિનઅસરકારક રહ્યું છે અને તેમણે રાજ્યના તમામ સ્તરે બદલાવની માગ કરી છે', તેમ સૂત્રોએ કહ્યું હતું.
હાઈકમાન્ડ હાલ વિચારાધિન
'રાષ્ટ્રીય નેતાઓ હાલ આ ક્ષણે નેતૃત્વમાં પરિવર્તન લાવવાના ફાયદા અને નુકસાન વિશે વિચારી રહ્યા છે. જો કે, નેતાઓમાં સર્વસંમતિ છે કે 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા નેતૃત્વમાં ધરખમ ફેરફાર કરવાની સખત જરૂર છે. જો કોઈ ફેરફાર કરવાનો હશે તો આગામી દસ દિવસમાં કરવામાં આવશે અથવા સ્થાનિક ચૂંટણી ખતમ થાય ત્યાં સુધી પક્ષ રાહ જોશે'.
જૂનાજોગીને સ્થાન કે, નવાને મળશે પદ?
કોંગ્રેસ હાઈકમાન્ડ હવે મર્યાદિત વિકલ્પોને લઈને મૂંઝવણમાં છે. ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, જગદીશ ઠાકોર સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ તેઓએ લડેલી ચૂંટણીમાં બેઠકો જીતી શક્યા નહોતા. કોંગ્રેસના નેતાઓનો એક વર્ગ અમિત ચાવડાની જગ્યાએ પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતા હાર્દિક પટેલને અધ્યક્ષનું પદ આપવાની માગ કરી રહ્યા છે. પટેલની કેટલાક મહિના પહેલા કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જો કે, પક્ષનો એક વર્ગ તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવવાના વિરોધમાં છે. નેતાઓનું માનવું છે કે, જો હાર્દિક પટેલને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવશે તો પાર્ટીમાં વ્યાપક અસંતોષ જોવા મળશે.