રાજ્યમાં પેટાચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો છે. મહત્વનું છે કે 8 બેઠકો પર કોંગ્રેસ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા જેને લઇને પેટાચૂંટણી યોજાઇ હતી. આ પેટાચૂંટણીમાં તમામ 8 બેઠકો પર કોંગ્રેસનો સફાયો થયો છે. ભાજપે કોંગ્રેસમાંથી આવેલા 5 ઉમેદવારોને ટિકિટ આપી હતી. પેટાચૂંટણીમાં 8 બેઠકો જીત્યા પછી ભાજપની બેઠકોનો આંકડો 111 પર પહોંચ્યો છે. ત્યારે હવે પેટાચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા આવી છે.
ગુજરાતમાં પેટાચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસનું નિવેદન
પેટાચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, રાજ્યસભાની એક બેઠક માટે ભાજપે ચૂંટણી થોપી છે. ગુજરાતના લોકો બેકારી, ભૂખમરો અને મોંઘવારીથી ત્રસ્ત છે. 8 વિધાનસભા વિસ્તારના લોકો સાથે દ્રોહ થયો છે. લોકોનો રોષ મતમાં કેમ ન પરિણમ્યો તેનો અભ્યાસ કરીશું.
જનતાએ આપેલા જનાદેશને સ્વીકારીએ છીએઃ ચાવડા
ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓએ નિરાશ થવાની જરૂર નહીં, પક્ષપલટો કરનારને લોકો જવાબ આપશે તેવી આશા હતી. લોકશાહી અને સંવિધાન બચાવવા લડત લડતા રહીશું. કોંગ્રેસના કાર્યકર્તાઓને સલામ કરૂ છું. મતદારોએ જે કઈ મદદ કરી તે માટે આભાર માનુ છું. કોંગ્રેસ સત્તા માટે ક્યારેય કામ નથી કરતી. કોંગ્રેસ સિદ્ધાંતો માટે જ કામ કરે છે. જનતાએ આપેલા જનાદેશને સ્વીકારીએ છીએ. વિજેતા ધારાસભ્યોને અભિનંદન પાઠવીએ છીએ. આગામી સમયની રણનીતિ પર વિચાર કરીશું. હારના કારણોનો વિગતવાર અભ્યાસ કરીશુ.
કોંગ્રેસના તમામ ઉમેદવારો સારી પ્રતિભા ધરાવતા હતાઃ ચાવડા
ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસના તમામ ઉમેદવારો સારી પ્રતિભા ધરાવતા હતા. ભાજપના ઉમેદવારો પક્ષપલટો કરનારા હતા. ભાજપની સામ, દામ, દંડ અને ભેદની નીતિ રહી છે. ભાજપે નાણાનો ગેરઉપયોગ કર્યો છે. કોંગ્રેસના આગેવાનો ટીમ સ્પિરિટથી પ્રચારમાં જોડાયા હતા. કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી જીતવા સક્ષમ હતા. જનતાનો જનાદેશ સર્વોપરી હોય છે. લોકોના મતને વેચનારાઓની જીત થઈ છે.
હારની સ્થિતિ વચ્ચે હાર્દિક પટેલનું ટ્વીટ
કોંગ્રેસની હાર પર હાર્દિકે કહ્યું કે, હાર-જીતના કારણે વેપારીઓ પક્ષ બદલે છે. લડીશ, જીતીશ અને અંતિમ શ્વાસ સુધી કોંગ્રસમાં રહીશ. વિચારધારાના અનુયાયીઓ ક્યારે પક્ષ ન બદલે.
हार-जीत के कारण पाले व्यापारी बदलते है, विचारधारा के अनुयायी नहीं। लड़ूँगा, जीतूँगा और मरते दम तक कांग्रेस में रहूँगा।