લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ માટે હાલ કપરા દિવસો ચાલી રહ્યા છે. ગુજરાતમા કોંગ્રેસની પાર્ટીમાં ફેરફાર થવાની શક્યતા છે. કોંગ્રેસના નવા પ્રમુખની નિમણુંક બાદ ગુજરાત કોંગ્રેસમાં ફેરફાર થશે. 400 લોકોના જમ્બો માળખામાં ફેરફાર કરવાનું હાઇકમાન્ડનું આયોજન છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માળખાના હોદ્દેદારો પર વાદળો ઘેરાયા છે. લોકસભાની ચૂંટણીમાં નબળા પ્રદર્શન બાદ પ્રદેશ નેતાઓની પર ઘાત બેઠી છે. લોકસભામાં હાર બાદ કોંગ્રેસ નવસર્જન તરફ ચાલી છે. નવા પ્રમુખની નિમણૂક બાદ પ્રદેશ કોંગ્રેસ સંગઠન માળખુ વિખેરવામાં આવશે ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ સંગઠનની તમામ બોડીનું વિસર્જન થશે. પ્રમુખ બદલવા અંગે હાઇકમાન્ડ નિર્ણય લેશે.
હાલમાં 400 લોકોનું પ્રદેશ કોંગ્રેસનું જમ્બો માળખું છે જેમાં ફેરફાર કરીને 400માંથી 200 લોકોને હાઇકમાન્ડ ઘરે રવાના કરાવાનું આયોજન થયું છે. કોઇ નેતાઓની ભલામણને સ્વીકારવામાં આવશે નહીં. જોકે સારી કામગીરી કરનાર સભ્યોને નવા માળખામાં સ્થાન મળશે જ્યારે નિષ્ક્રિયતા દાખવનારની હકાલપટ્ટી થશે.
એકબાજુ જ્યારે રાહુલ ગાંધી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પદ પરથી રાજીનામુ આપવાને બદલે માળખું વિખેરવા ભલામણ કરી રહ્યાં છે. હારની જવાબદારી સિનિયર નેતાઓ પોતાના શીરે લેવાં તૈયાર નથી.
કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષ માટે કવાયત તેજ
રાહુલ ગાંધીના રાજીનામા બાદ કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષ માટે કવાયત તેજ કરવામાં આવી છે. સંગઠન મહાસચિવ દ્વારા કેસી વેણુગોપાલ દ્વારા તમામ મહાસચિવોને ફરમાન જારી કરવામાં આવ્યું હતું. કે.સી વેણુગોપાલે અધ્યક્ષ માટે મહાસચિવોને 4-4 નામો આદેશ કર્યો છે. કોગ્રેસ અધ્યક્ષ માટે બંધ કવરમાં 4-4 નામ આપવા ફરમાન જારી કરવામાં આવ્યું છે.