આજે ગુજરાતમાં કોરોનાની વેક્સિન આવી પહોંચી છે ત્યારે વિપક્ષના નેતાએ પણ આ વીશે ટીપ્પણી કરતાં જણાવ્યું હતુ કે, મહામારી સામે લડવા માટે અમે સરકારની સાથે છીએ.
આ લડાઇ આપણી સામુહીક લડાઇ છે -ધાનાણી
આગળ પણ મહામારીની લડાઇમાં ખભેથી ખભો મેળવીને લડીશુ-ધાનાણી
સાજા થઇને ફરી દોડતા થઇશુ -ધાનાણી
કોરોના વેકસીનને લઇ અમદાવાદમાં પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કોરોના વેક્સિન મુદ્દે સરકારના ખભેથી ખભે મિલાવીને કામ કરવાનું જણાવ્યું છે.
પરેશ ધાનાણી કહ્યું હતુ કે, મહામારી સામે સૌએ સાથે મળીને કામ કરવુ જ પડે. રોગચાળામાં રાજકારણ નહીં કરવામાં આવે. અમે સકારાત્મક સંદેશા સાથે CM રૂપાણીને મળ્યા હતા. CM રુપાણીએ એ વિશ્વાસ અપાવ્યો હતો, આ લડાઇ પાર્ટીની નથી પણ મહામારી સાથેની છે. આ લડાઇ આપણી સામૂહીક લડાઇ છે. આગળ પણ મહામારીની લડાઇમાં ખભેથી ખભો મેળવીને લડીશુ. સાજા થઇને ફરી દોડતા થઇશુ.
સીરમની કોવિશિલ્ડ વેક્સિન અમદાવાદ આવી પહોંચી છે
સીરમની કોવિશિલ્ડ વેક્સિન અમદાવાદ આવી પહોંચી છે. DyCM નીતિન પટેલે વેક્સિનને વધાવી હતી. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યાં હતા. આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિ પણ કોરોનાની વેક્સિનને વધાવી હતી. અમદાવાદ એરપોર્ટથી વેક્સિનની ટ્રક ગાંધીનગર જવા રવાના થઈ હતી જેને નીતિન પટેલે લીલી ઝંડી આપી હતી. ગ્રીન કોરિડોર મારફતે વેક્સિન ગાંધીનગર રવાના કરવામાં આવી હતી. આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે, 16 જાન્યુ.એ પ્રથમ તબક્કો શરૂ થઈ રહ્યો છે. પુણેથી 2.76 લાખ વેક્સિનનો જથ્થો અમદાવાદ પહોંચ્યો હતો. વેક્સિન આવવાથી લોકોનો ઉત્સાહ વધ્યો છે. કેન્દ્ર સરકાર અને PM મોદીનો આભાર માનીએ છે કે આપણને કેન્દ્ર સરકાર તરફથી વિનામૂલ્યે જથ્થો મળ્યો છે
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, 1.20 લાખ ડોઝ અમદાવાદને મળશે જ્યારે 60 હજાર ડોઝ આવતીકાલે ભાવનગર મોકલાશે અને 94,500 ડોઝનો જથ્થો વડોદરા મોકલાશે. 93,500 ડોઝનો જથ્થો સુરત મોકલવામાં આવશે. રાજકોટ માટે 77 હજાર ડોઝ બાયરોડ પહોંચશે.