ભારતમાં વધતા કોરોના વાયરસના કહેર વચ્ચે ચૂંટણી પંચ દ્વારા આગામી 26 તારીખે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી રદ્દ કરાવનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી રાજસ્થાનના જયપુરમાં રહેતા ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યો આજે અમદાવાદ ખાતે પરત ફરશે.
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો આજે સાંજે અમદાવાદ પરત ફરશે
14 માર્ચથી ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં હતા
ધારાસભ્યો એરપોર્ટ થી સીધા તેમના વિસ્તારોમાં જશે
ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો 14 માર્ચથી રાજસ્થાનમાં જયપુર ખાતે રિસોર્ટમાં રોકાયા હતા. આમ છેલ્લા 10 દિવસથી રિસોર્ટમાં રહી રહેલાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો આજે અમદાવાદ પરત ફરશે.
કોંગ્રેસના જે ધારાસભ્યો જયુપરથી પરત ફરશે તેઓ એરપોર્ટથી સીધા તેમના વિસ્તારોમાં જાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં યોજનારી રાજ્યસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા તેમના ધારાસભ્યોને જયપુર રિસોર્ટમાં લઇ જવામાં આવ્યાં હતા.
જયપુર ખાતે રિસોર્ટથી પરત ફરી રહેલા કોંગ્રેસના ધારાસભ્યોને લઇને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો ગુજરાતમાં પરત ફરશે. ત્યાર બાદ કોંગ્રેસના ધારાસભ્યો પોતપોતાના વિસ્તારમાં જશે.
આજરોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા 26મી તારીખે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં દેશના ગુજરાત, આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાનમાં ચૂંટણી યોજાવાની હતી. જો કે આ સાથે ચૂંટણી પંચે જણાવ્યું કે સ્થિતિ સામાન્ય થયા બાદ નવી તારીખ જાહેર કરવામાં આવશે.