રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસ દ્વારા કવાયત હાથધરાઈ છે. પક્ષમાં રહીને લોકોના કામ ન થતા હોવાના ધારાસભ્યોએ આક્ષેપ કર્યા છે. અન્ય ધારાસભ્યો ન તૂટે તે માટે હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને ઝોન વાઇસ રિસોર્ટમાં રાખવામાં આવી રહ્યા છે. ત્યારે આ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભાજપ સત્તા માટે ખરીદ-વેચાણ કરી રહી છે.
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વધુ 3 ધારાસભ્યોના રાજીનામા મામલો
ધારાસભ્ય ખરીદવા માટે ભાજપ પાસે રૂપિયા છે, કોરોના માટે નથીઃ પ્રતાપ દૂધાત
ધારાસભ્યો ન તૂટે તે માટે કોંગ્રેસ હાઈકમાન્ડના પ્રયાસો
રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂઘાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીના ફંડનો ખોટો ઉપયોગ થાય છે. કોંગ્રેસના નબળા મનના લોકો ગયા છે. જે લોકો જાય છે તેને પેટા ઇલેક્શનમાં લોકો હરાવે છે. ભાજપે આછકલાઇ શરૂ કરી છે.
ભાજપ સત્તા માટે દાઉદને ખરીદી લે
દૂધાતે કહ્યું કે, કોરોનામાં રૂપિયા વાપરવા માટે સરકાર પાસે પૈસા નથી. ધારાસભ્ય ખરીદવા માટે ભાજપ પાસે રૂપિયા છે. ભાજપ સત્તા માટે દાઉદને પણ પક્ષમાં લઇ શકે. દૂધાતે લોકો કહ્યું હતું કે, હું વિશ્વાસઘાત કરું તો પ્રજા મને પણ મત વિસ્તારોમાં ન આવવા દે. જે.વી કાકડીયા પૈસા માટે ગયા હતા મને કહ્યું હતું. બ્રિજેશ મેરજા પૈસાથી વેચાયેલો માલ છે.
ભેગા થયેલા ધારાસભ્ય કોને મત આપે તે કોને ખબર: અમરિશ ડેર
કોંગ્રેસના ધારાસભ્ય અમરિશ ડેર પણ રાજકોટ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં અમરિશ ડેરે કહ્યું કે, કાલે શું થવાનું છે તે કોઇને ખબર નથી, પ્રજાને વચન ન આપી શકું. યોગ્ય સમયે મારો નિર્ણય રજુ કરીશ. અમરિશ ડેરના આ નિવેદનથી કોગ્રેસના હડકંપની સંભાવના દેખાઇ રહી છે. અમરિશ ડેરે કહ્યું કે, આદમી બિકતા હૈ પર કિંમત તય કરતી હૈ ઉસકી મજબૂરીયા. આજે કોંગ્રેસની સ્થિતિ ખરાબ છે. આ તબક્કે પાર્ટી છોડવી યોગ્ય નથી. આ સમયે ધારાસભ્ય મતવિસ્તારમાં રહેવું જોઇએ. ભેગા થયેલા ધારાસભ્ય કોને મત આપે તે કોને ખબર. મારુ માનવું છે કે ધારાસભ્યએ એકત્રિત ન થવું જોઇએ.
મારા નારાજગીની વાત માત્ર અફવાઃ પાલનપુરના MLA
કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ હવે પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી કે, પક્ષ અને પદમાંથી રાજીનામું આપનાર ધારાસભ્યોએ પ્રજા સાથે દગો ન કરવો જોઈએ. વિકાસના કામ કરવા માટે પ્રજાએ ધારાસભ્યોને ચૂંટ્યા હોય છે. ત્યારે ચૂંટણી સમયે જ રાજીનામા આપવા તે યોગ્ય નથી. ધારાસભ્યોએ પ્રજા અને પાર્ટી માટે વફાદાર રહેવું જોઈએ. ત્યાર બાદ તેમણે કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચાને ફગાવી છે. તેમણે જણાવ્યુ કે, મારા નારાજગીની વાત માત્ર અફવા છે, હું હમેશા કોંગ્રેસ સાથે જ છું. ભાજપ ગમે તેટલા પ્રયત્ન કરશે પરંતુ હું કોંગ્રેસ સાથે જ રહીશ.