કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાનું નિધન...ભીલોડા બેઠકના હતા ધારાસભ્ય.. ગુજરાત વિધાનસભા ગૃહમાં 2 મિનિટનું મૌન પાળીને આજની કાર્યવાહી રખાઈ મુલતવી
ભીલોડા બેઠકના ધારાસભ્ય અનિલ જોષીયારાનું 69 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયગાળાથી બીમાર હતા. નોંધનીય છે કે,ગત જાન્યુઆરી મહિનામાં કોરોનાગ્રસ્ત થયાં હતા.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 14, 2022
થોડા સમય પહેલા લથડી હતી તબિયત
ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમિત થયાં બાદ તેમને ગત મહિને ચેન્નાઈ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જો કે લાંબી સારવાર બાદ તેમનું ચેન્નાઈ ખાતે નિધન થતાં સમર્થકો અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ભીલોડામાં કરાશે અંતિમ સંસ્કાર
મલ્ટી ઓર્ગન ફેલ થતા તેમનું નિધન થયું હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયાં છે. જણાવી દઇએ કે, ડૉ. અનિલ જોશિયારાના અગ્નિ સંસ્કાર તેમના વતનમાં જ કરવામાં આવશે.
યુથ કોંગ્રેસની તાલીમ શિબિરમાં અપાઈ શ્રદ્ધાંજલિ
યુથ કોંગ્રેસની તાલીમ શિબિરમાં સ્વ. અનિલ જોશીયારાને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. યુથ કોંગ્રેસના તમામ કાર્યકરોએ મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.તો આ તરફ ગાંધીનગર વિધાનસભા ગૃહમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને બપોર પછીની કામગીરી મુલતવી રાખવામાં આવી હતી.
કોણ હતા ડો.અનિલ જોષીયારા
24 એપ્રિલ 1953ના રોજ જન્મેલા ડૉ.અનિલ જોષીયારા મૂળ ભિલોડા તાલુકાના ચુનાખણના વતની હતા, તેમણે 1979માં MBBS અને 1983માં એમ.એસ.(જનરલ સર્જન)ની ડીગ્રી અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી.
ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ અને સર્જન હતા ડો.અનિલ જોષીયારા
જણાવી દઈએ કે, ડૉ.અનિલ જોશીયારાએ ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ અને સર્જન તરીકે છ વર્ષ જવાબદારી સંભાળી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષ અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 1989 થી 1992સુધી પોતાની સફળ તબીબી સેવાઓ આપી છે તેઓ મેડિકલ એસોસિયેશનના સભ્ય રહી ચૂક્યા છે.
4 ટર્મ ચૂંટાઈ આવ્યા ધારાસભ્ય પદે, આરોગ્ય મંત્રી પદ પણ શોભાવ્યું
ડૉ.અનિલ જોશિયારાની રાજકીય કારકિર્દીનો ઉદય 1995માં થયો હતો. તેઓ ભિલોડાથી ચૂંટાયા બાદ ગુજરાત સરકારમાં 1995થી 1997 સુધી આરોગ્યમંત્રી રહ્યા હતા. 1998ની વિધાનસભા ચૂંટણીમાં સ્વ.ઉપેન્દ્ર ત્રિવેદી સામે તેમનો પરાજય થયો અને 1998થી 2002 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. ત્યાર બાદ આવેલી 2002, 2007, 2012, 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી સતત ચાર ટર્મથી વિજય મેળવી ભિલોડા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.