રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના ધારાસભ્યોમાં ફૂટ પડે તેવી સંભાવના છે. ભાજપ સામે લડવાને બદલે આંતરિક વિખવાદનો ભય છે. કોંગ્રેસના ધારાસભ્યો બે ગૃપમાં વહેંચાવાનો સિનિયરોને ભય છે. ધારાસભ્યને એકજૂટ રાખવા હાઇકમાન્ડે સૂચના આપી છે. મોટાભાગના સિનિયર નેતા શકિતસિંહની તરફેણમાં છે. તો ધારાસભ્યનું એકજૂથ ભરતસિંહની તરફેણમાં છે. આ વચ્ચે રાજકોટના રિસોર્ટ પહોંચેલા અમરિશ ડેરે મોટું નિવેદન આપ્યું છે.
કોંગ્રેસના ધારાસભ્ય અમરિશ ડેર રાજકોટ પહોચ્યા
યોગ્ય સમયે મારો નિર્ણય રજુ કરીશઃ ડેર
ભેગા થયેલા ધારાસભ્ય કોને મત આપે તે કોને ખબર: ડેર
રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસના ધારાસભ્યો એક પછી એક કોંગ્રેસ છોડી રહ્યાં છે ત્યારે હવે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા પણ પોતાના ધારાસભ્યોને રિસોર્ટમાં કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજ્યગુરૂના રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. ત્યારે શનિવારે કોંગ્રેસના ધારાસભ્ય અમરિશ ડેર પણ રાજકોટ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
અમરિશ ડેરે કહ્યું કે, કાલે શું થવાનું છે તે કોઇને ખબર નથી, પ્રજાને વચન ન આપી શકું. યોગ્ય સમયે મારો નિર્ણય રજુ કરીશ. અમરિશ ડેરના આ નિવેદનથી કોગ્રેસના હડકંપની સંભાવના દેખાઇ રહી છે.
અમરિશ ડેરે કહ્યું કે, આદમી બિકતા હૈ પર કિંમત તય કરતી હૈ ઉસકી મજબૂરીયા. આજે કોંગ્રેસની સ્થિતિ ખરાબ છે. આ તબક્કે પાર્ટી છોડવી યોગ્ય નથી. આ સમયે ધારાસભ્ય મતવિસ્તારમાં રહેવું જોઇએ. ભેગા થયેલા ધારાસભ્ય કોને મત આપે તે કોને ખબર. મારુ માનવું છે કે ધારાસભ્યએ એકત્રિત ન થવું જોઇએ.