બિન ગુજરાતીઓ પર થઈ રહેલા હુમલાઓ બાદ ઠાકોર સેનાના અગ્રણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે વિવાદમાં ફસાયા છે અને ઠાકોર યુવાનો સામે અનેક કેસ નોંધવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતમાં બિન ગુજરાતી અને ગુજરાતીઓ વચ્ચે શાંતિ અને ભાઇચારાનો માહોલ જળવાઇ રહે તે માટે અલ્પેશ ઠાકરો આજથી સદ્દભાવના ઉપવાશ શરૂ કરશે.
અમદાવાદમાં રાણીપ ખાતે પોતાની ઓફિસ પર જ અલ્પેશ ઠાકોર સદ્દભાવના ઉપવાસ કરશે. ઉલ્લેખનીય છે કે હિંમતનગરમાં દુષ્કર્મનો ભોગ બનેલી 14 મહિનાની બાળકીને ન્યાય અપાવવા ઉપવાસ શરૂ કરી રહેલા અલ્પેશ ઠાકોરે તેમના ઉપવાસમાં જોડાવવા રાજ્યના પ્રજાજનોને આહ્વાન કર્યું છે.
મહત્વનુ છે કે અલ્પેશ ઠાકોરે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સદભાવના ઉપવાસ માટે પત્ર પણ લખ્યો હતો. આ પત્ર લખીને અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રીઓને ઉપવાસમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યુ છે.આ પત્રમાં અલ્પેશે લખ્યુ છે કે ''સોશ્યલ મીડિયામાં ફેલાઈ રહેલી અફવાનોના કારણે ભયનો માહોલ પેદા થયો છે. ઉત્તરભારતીય પરના નિવેદનમાં મારી કોઈ ભૂમિકા નથી. હાલમાં ઉત્તરભારતીય ગુજરાતમાં આવી રહ્યા છે. અને ભવિષ્યમાં પણ ઉત્તરભારતીયો ગુજરાતમાં આવતા રહેશે. ''
આ સાથે જ અલ્પેશ ઠાકોરે પોતાના પત્રમાં રાજ્યમાં ઉત્તર ભારતીય સુરક્ષિત હોવનો પણ ઉલ્લેખ કર્યો છે અને ઉત્તર ભારતીયોને પુરતી સુરક્ષા આપવાની ખાતરી પણ આપી છે.