લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાંથી ઓછામાં ઓછી આઠ બેઠક જીતવાના દાવા કરનાર ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ સામે એકપણ બેઠક ન મળવાથી અનેક પ્રશ્નો ઉઠ્યા છે. જોકે રાજ્યની છવ્વીસે છવ્વીસ બેઠક પર કારમી હાર છતાં પણ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી રાજીનામું આપવાના મૂડમાં નથી.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ લોકસભાની ચૂંટણીના પરિણામોને અપેક્ષાથી તદ્દન વિપરીત બતાવીને અમુક અંશે ઈવીએમને પણ હારના માટે જવાબદાર ગણાવ્યું છે. અત્યારે તો હારનાં કારણોની સમીક્ષા કરવાના ચક્ર ગતિમાન કરાયાં હોઈ પક્ષ નેતૃત્વએ તમામ સ્તરના પ્રભારીઓ, ઉમેદવારો પાસેથી હારનાં કારણોને લગતો વિસ્તૃત અહેવાલ માંગ્યો છે.
દશેક દિવસમાં આ અહેવાલને તૈયાર કરીને દિલ્હી હાઈકમાન્ડને સોંપાશે, પરંતુ જે પ્રકારે વિધાનસભાની ચારેય પેટા ચૂંટણીમાં પણ પક્ષની શરમજનક હાર થઈ તેનાથી નિષ્ઠાવાન કાર્યકરોમાં રોષ ફેલાયો છે.
તેમાં પણ વિધાનસભામાં વિપક્ષના નેતાનો મોભાદાર હોદ્દો ધરાવતા પરેશ ધાનાણી પોતે તો ન જીત્યા, પરંતુ સૌરાષ્ટ્રની ત્રણ બેઠક સહિત કુલ ચાર બેઠક પૈકી એક-બે બેઠક પણ અપાવી ન શક્યા. આ બંને યુવા નેતાઓ પક્ષની કારમી હાર બદલ નૈતિક જવાબદારી સ્વીકારીને સ્વેચ્છાએ પોતાનું રાજીનામું આપવાના મૂડમાં નથી.