આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીથી હાઇકમાન્ડનું તેડું આવતા અડધો ડઝનથી વધુ કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. જેમાં જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, અમિત ચાવડા, પરેશ ધાનાણી, દિપક બાબરીયા સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. જ્યાં KC વેણુગોપાલ, પ્રિયંકા ગાંધી, પી. ચિદંમ્બરમ સહિતના નેતાઓ સાથે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ માટે બેઠક યોજાશે. તો પ્રભારી રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના આયોજનો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરશે અને ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરશે.
ગુજરાત વિધાનસભાનો ગઢ જીતવા ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો અત્યારથી જ કામે લાગી ગયા
બીજી બાજુ તાજેતરમાં જ અમદાવાદ ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પેપર કૌભાંડ મામલે સરકાર પર ચાબખા મારી સણસણતા આરોપો લગાવ્યા હતા. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાનો ગઢ જીતવા ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અત્યારથી જ કામગીરીમાં લાગ્યા છે. જેના ભાગરૂપે બેઠકો, નિમણૂંકો, મિટિંગો, પ્રવાસ સહિતના કાર્યક્રમોનો દોર જામ્યો છે. તેવામાં આજે અમદાવાદ ખાતે એક કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે હાજરી આપી હતી. જેમાં તેમણે પેપર કૌભાંડ મામલે સરકારને આડેહાથ લીધી હતી. આ મામલે જગદીશ ઠાકોરે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.
યુવાઓ દિવસ-રાત મહેનત કરે અને પેપર લીક થાય એટલે યુવાઓની મહેનત પાણીમાં
ગુજરાતમાં પેપર લીક કૌભાંડ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતું કે એક પછી એક14 પેપરો ફુટ્યા છે જે જગજાહેર હોવા છતા કશૂરવારો સામે પગલાં ભરવામાં આવ્યા નથી. પેપરકાંડ થકી સરકાર યુવાઓના ધૈર્યનો ટેસ્ટ કરી રહી છે. એટલું જ નહીં ભાજપ પર સણસણતા આરોપ કરતા તેમણે જણાવ્યું હતું કે, ભાજપવાળા માત્ર પોતાની વિચારધારા સાથે સંકળાયેલા લોકોને જ નોકરી આપે છે. સરકાર માત્ર ગુજરાતના યુવાનો પાસે તૈયારીઓ જ કરાવે છે. યુવાઓ દિવસ-રાત એક કરીને મહેનત કરે છે અને પેપર લીક થાય એટલે યુવાઓની મહેનત પાણીમાં જાય છે.
બેરોજગારી, પેપરલીક અને ડ્રગ્સના દૂષણ સામે અવાજ ઉઠાવીશું: જગદીશ ઠાકોર
વધુમાં જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો પેપર કૌભાંડમાં સંડોવાયેલ શખ્સોને પાતાળમાંથી શોધી તેની વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે. જો અમારી સરકાર બની તો પેપર ફોડનારે રાજ્ય છોડવું પડશે. જો આ પેપર ફોડનારા ગુજરાત છોડી ભાજપ શાસિત રાજ્યમાં પણ જતા રહેશે તો અમે તેમને ત્યાંથી પણ પકડી તેની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જગદીશ ઠાકોરે ઉમેર્યું હતું કે, બેરોજગારી, પેપરલીક અને ડ્રગ્સના દૂષણ સામે અમે તાકાતથી અવાજ ઉઠાવીશું અને યુવાનોને થતા અન્યાય સામે કોંગ્રેસ આંદોલન કરશે.