હાર્દિક પટેલ એકલો જાય છે એની સાથે કોઈ છે નહીં, જો અમે જવાના હોત તો પહેલા જ જતાં રહ્યા હોત: લલીત વસોયા
ગુજરાત કોંગ્રેસના નેતાઓ નરેશ પટેલને મળ્યા
બેઠક બાદ તમામ નેતાઓએ ગોળ ગોળ વાત કરી
નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે કે કેમ તે વાત પર ચુપ્પી સાધી
હાર્દિક પટેલના રાજીનામાં બાદ ગુજરાત કોંગ્રેસે ડેમેજ કંટ્રોલની ક્વાયત હાથ ધરી છે. કોંગ્રેસ નેતાઓએ નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. ફાર્મહાઉસ બેઠક બાદ જગદીશ ઠાકોરે કહ્યું કે અમે નરેશ પટેલ સાથે મુલાકાત કરી, નરેશ પટેલ સાથે રાજકીય કોઈ ચર્ચા થઈ નથી.
કોંગ્રેસ હવે ગંગા જેવી પવિત્ર થઈ રહી છે: પરેશ ધાનાણી
તો આ તરફ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અમે નરેશ પટેલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. કોંગ્રેસ હવે ગંગા જેવી પવિત્ર થઈ રહી છે ત્યારે સારા લોકો ફરી પાછા સમાજને શક્તિ આપવા માટે આગળ આવે. સારા લોકોએ કોંગ્રેસમાં જોડાવુ જોઈએ.ધાનાણીને મીડીયા મિત્રોએ સતત નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે કે નહીં તેના પર સવાલો કર્યા હતા તેના ગોળ ગોળ વાત કરી કહ્યું હતું કે ચા નાસ્તો અને મળવા આવ્યા હતા. હાર્દિક પર આડકતરી રીતે નિશાન સાધતાં કહ્યું કે સરદારના વારસ ગદ્દાર ન હોય અને ગદ્દાર હોય એ સરદારના વારસ ન હોય.
અમે જવાના હોત તો પહેલા જ ગયા હોત: લલીત વસોયા
તો બીજી તરફ લલીત વસોયાએ જણાવ્યું કે હાર્દિક કઈ પાર્ટીમાં જોડાય તે પછી કહી શકાય, દરેક વ્યક્તિ પોતાનો નિર્ણય લેવા સક્ષમ છે. પ્રજાએ મારા પર મુકેલા વિશ્વાસને હુ ડુબવા નહી દઉઃ
હાર્દિક પટેલ એકલો જાય છે એની સાથે કોઈ છે નહીં, જો અમે જવાના હોત તો પહેલા જ જતાં રહ્યા હોત, કોના જવાથી ફાયદો કે નુકસાન થશે તે તો સમય બતાવશે. હું કોંગ્રેસ સાથે છું અને રહેવાનો છું.
નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તે નક્કી કરવા હાર્દિક પટેલ ખોડલધામ ગયા હતાઃ રઘુ શર્મા
હાર્દિક પટેલના રાજીનામાને લઇને કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે, હાર્દિક પટેલે પહેલાથી જ મન બનવી લીધું. નરેશ પટેલ સાથે વાત શરૂ થયા બાદથી હાર્દિક નારાજ છે. હાર્દિક પટેલે નરેશ પટેલ સાથે બેઠક કરી તે અંગે મોટો ખુલાસો કરી શકે છે. નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તે નક્કી કરવા હાર્દિક પટેલ ખોડલધામ ગયા હતા. ખોડલધામ પછીની મુલાકાત બાદ હાર્દિક પટેલે કોંગ્રેસ છોડવાનું નક્કી કર્યું. નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તેવી ચર્ચા ટોક ઓફ ટાઉન બની હતી. હાર્દિકને ડર હતો કે મારૂ રાજકારણ પુરૂ થઇ ગયું. હાર્દિક પટેલે મન બનાવી લીધું હતું.
શું કડવા V/S લેઉવા થશે?
નરેશ પટેલ સાથેની બેઠક બાદ બે દિવસમાં તો હાર્દિકના રંગ રૂપ બદલાઈ ગયા હતા. હાર્દિકના રાજીનામાં બાદ જો હાર્દિક ભાજપમાં જાય અને નરેશ પટેલ કોગ્રેસમા જોડાય તો ગુજરાતની રાજનીતિમાં નવા સમિકરણો રચાય શકે તેમ છે. જેમાં આગામી ચુંટણીમાં લઉવા અને કડવા પટેલના મત વેચાઈ શકે છે. કારણ કે હાર્દિક પટેલ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. જ્યારે નરેશ પટેલ લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ કડવા પટેલની વસ્તી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને સુરતમાં લઉવા પટેલની વસ્તી વધારે છે. હાર્દિક ભાજપમાં જોડાય તો ઉત્તર ગુજરાતમાં ભાજપને ફાયદો થઈ શકે. પરંતુ જો નરેશ પટેલ કોગ્રેસમાં જોડાય તો સૌરાષ્ટ્રમાં કોગ્રેસને ફાયદો થાય તેવી શક્યતાઓ રહેલી છે જેની પાછળ કારણ એ છે કે, હાર્દિકનું વર્ચસ્વ ઘટી જવાના અણસાર રહે છે. આમ જો હાર્દિક અને નરેશ પટેલ એકબીજાની વિરુદ્ધમાં જાય તો સ્વાભાવિક રીતે પાટીદાર મતોમાં પણ ભાગલા પડી શકે તેમ છે.