કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી શનિવારે મા ખોડલને ખોળે શીશ ઝૂકાવવા જશે. પાટીદારોના આસ્થાના કેન્દ્ર બિંદુ સમા કાગવડ ખોડલ ધામની ભરતસિંહની મુલાકાત રાજનીતિક રીતે સૂચક બની રહેવાના એંધાણ છે.
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી આજે મા ખોડલના શરણે
ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ સાથે મુલાકાત
શુક્રવારે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની થઇ વરણી
રાજ્યમાં આગામી વિધાનસભા-2022ની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાની આજે વરણી થયા બાદ જ ભરતસિંહ સૌરાષ્ટ્રના અને ખાસ કરીને ખોડલ ધામના શરણે જઈ રહ્યા છે. તેનાથી મોટા તર્ક-વિતર્ક સર્જાશે. અહીં પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ સાથે પણ મુલાકાત કરશે. ભરતસિંહ ખોડલધામ ખાતે દર્શન કરશે અને ત્યારબાદ નરેશ પટેલ સાથે મહત્વની બેઠક યોજાશે.
ગુજરાત વિધાનસભાની સમયાવધિ પ્રમાણે આગામી ડીસેમ્બરમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી છે ત્યારે, તમામ રાજનીતિક પક્ષો પોતાના ચોગઠા ગોઠવી રહ્યા છે. એવામાં ભરતસિંહની મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે.
નરેશ પટેલનું નિવેદન અને 'સરદાર'નું બદલાવું
હજુ પાંચ-છ મહિના પહેલા જ ખોડલ ધામથી લાગણી અને માંગણી વ્યક્ત કરાઇ હતી કે, 2022ની ચૂંટણી બાદ ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર જ હોય. ગુજરાતમાં આ નિવેદન પર ઘણા બધા તર્ક વિતર્ક થયા. ઓગસ્ટની મધ્યમા પાટીદાર સમાજનો સરદાર ધામ કાર્યક્રમ રૂપાણી સરકારનો આખરી જાહેર કાર્યક્રમ બની રહ્યો. નરેશ પટેલના આ નિવેદન બાદ, કેન્દ્રના મોવડી મંડળે 2022ની માગણીને, ત્રણ જ મહિનામાં પૂર્ણ કરી હતી. હવે પ્યુનથી પાર્લામેન્ટ સુધી સમાજનો વ્યક્તિ વાળી વાત ગત મહીને કરવામાં આવી છે. ભરતસિંહ અને નરેશ પટેલની આ મુલાકાત કેવા'ગૂલ' ખીલાવશે તે જોવું રસપ્રદ રહેશે.