કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતાની વિધાનસભા બેઠકની ગ્રાન્ટમાંથી 10 લાખ રૂપિયાની ફાળવણી કરવા માટે અધિકારીને લખ્યો પત્ર
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પહેલ
આણંદમાં રેમડેસિવિર ઈન્જેકશન માટે 10 લાખ ફાળવ્યા
જિલ્લા આયોજન અધિકારીને સંબોધીને લખ્યો પત્ર
ગુજરાતમાં મહામારીના કારણે લોકો જીવન-મરણની વચ્ચે ઝઝુમી રહ્યા છે. આવા સમયમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પહેલ કરી છે. આણંદમાં રેમડેસિવિર ઈન્જેકશન માટે 10 લાખ ફાળવ્યા છે. જિલ્લા આયોજન અધિકારીને સંબોધીને અમિત ચાવડાએ પત્ર લખ્યો છે. ધારાસભ્યની ગ્રાન્ટનો મેડીકલ સેવા માટે ઉપયોગમાં લેવા માટે પહેલ કરી છે. અમિત ચાવડા આંકલાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે.
ગુજરાતમાં અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. એક દિવસમાં ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા 3 હજારને પાર થઈ ગઈ છે ગઈ કાલે એક દિવસની અંદર અમદાવાદમાં કોરોનાના 3 હજાર 241 નવા કેસ નોંધાયા છે.
અમદાવાદ કોરોનાના વધતા કેસો સામે તંત્રની ચિંતામાં વધારો થયો છે. જેને પગલે DyCM નીતિન પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. નીતિન પટેલ અમદાવાદની UN મેહતા હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને અહીં બેઠક યોજી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે આરોગ્ય અગ્રસચિવ, આરોગ્ય કમિશનર પણ જોડાયા હતા. તેમણે અમદાવાદમાં હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સહિતની સુવિધા અંગે માહિતી મેળવી હતી અને વણસતી જતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે શું ઈલાજ થઈ શકે તે અંગે ચર્ચા વિચારણા શરૂ કરી હતી.
શું કહ્યુ નીતિન પટેલે?
કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે નીતિન પટેલ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા જ્યાં DyCM નીતિન પટેલે રાજ્યની સ્થિતિને લઈને નિવેદન આપ્યું છે. ગુજરાતમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ગુજરાતના દરેક જિલ્લામાં સંક્રમણ ફેલાયું છે. કોરગ્રુપની સૂચના પ્રમાણે કામગીરી ચાલી રહી છે. 108માં અનેક ઘણા કેસ આવી રહ્યાં છે. 108માં હજુ પણ 300-400 કોલનું વેઇટિંગ છે. ડૉક્ટર્સ અને સ્ટાફ રજા લીધા વિના કામ કરી રહ્યા છે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, યુ.એન.મહેતા હોસ્પિટલમાં 160 બેડની વ્યવસ્થા કરાઇ છે. 50 ટન કરતા વધુ ઓક્સિજન રોજનો વપરાય છે. જરૂરિયાત પ્રમાણે દર્દીઓને ઇન્જેક્શન અપાઇ રહ્યાં છે. ઓક્સિજન લેવલ 85થી નીચે જાય તો જ દાખલ થવાનો આગ્રહ રાખો.