વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અશોક ગેહલોત પ્રભારી હતા અને તે સમયે કોંગ્રેસે પોતાનું પ્રદર્શન સુધાર્યુ હતું.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી પદ માટે હાઇકમાન્ડ 'કન્ફ્યુઝ'
રાજસ્થાનના એક નેતાને ગુજરાત મોકલાય તેવી શક્યતા
જોકે ગાંધી પરિવાર નવા નિર્ણયથી ચોંકાવી પણ શકે
ગુજરાત કોંગ્રેસ પ્રભારી પદ માટે વિવિધ નામ પર મંથન
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના માળખામાં ફેરફાર થશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદથી જ ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતાને લઈને કોંગ્રેસ અસમંજસની પરિસ્થિતિમાં છે. આ સિવાય ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ તે પદ પણ ખાલી પડ્યું છે. કોંગ્રેસ ગુજરાત પ્રભારી પદ માટે અલગ અલગ નામો પર વિચાર કરી રહી છે ત્યારે તેમાં સચિન પાયલટના નામને લઈને નેતાઓમાં આંતરદ્રોહ છે.
10 જનપથની પહેલી પસંદ છે પાયલટ
ગુજરાત કોંગ્રેસ પ્રભારી પદ માટે ઘણા બધા નામ પર ચર્ચા થઈ રહી હોવાનું સામે આવ્યું છે જેમાં BK હરિપ્રકાશ, મુકુલ વાસનીક, અવિનાશ પાંડે, મોહન પ્રકાશ અને કમલનાથનો સમાવેશ થાય છે. જોકે ગાંધી પરિવારની પહેલી પસંદ સચિન પાયલટ હોવાનું સામે આવ્યું છે.
પાયલટ ભરોસો કરી શકશે કોંગ્રેસ?
સચિન પાયલટે થોડા મહિના પહેલા જ રાજસ્થાનમાં પોતાની જ સરકાર સામે બાંયો ચડાવી હતી અને સરકાર સામે વિદ્રોહ કર્યો હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમના પર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. જોકે તે બાદ પાયલટની કોંગ્રેસમાં વાપસી થઈ ગઈ, જોકે તેમનાથી ઉપમુખ્યમંત્રી પદ છીનવી લેવામાં આવ્યું. હવે અશોક ગેહલોત નથી ઇચ્છતા કે પાયલટને ગુજરાતમાં પણ કોઈ જવાબદારી આપવામાં આવે.
ગેહલોત પર વિશ્વાસ કરશે કોંગ્રેસ?
કેન્દ્રીય હાઇકમાન્ડમાં પણ સચિન પાયલટના નામને લઈને કોઈ એકમત નથી. ગેહલોત અવિનાશ પાંડે અથવા મોહન પ્રકાશને ગુજરાતના પ્રભારી બનાવવા માંગે છે. જોકે કોંગ્રેસના કેટલાક નેતાઓ એવું પણ કહે છે કે સચિન પાયલટ પોતે પણ રાજસ્થાનની બહાર જવા માંગતા નથી.
ગેહલોતના નેતૃત્વમાં જ લડાઈ હતી 2017ની ચૂંટણી
નોંધનીય છે કે અશોક ગેહલોત પોતે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રહી ચૂક્યા છે અને તેમના નેતૃત્વમાં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાં ત્રણ દશકમાં પહેલીવાર 182માંથી 77 બેઠકો મળી હતી.
અવિનાશ પાંડે રેસમાં આગળ નીકળ્યા પણ ગાંધી પરિવાર કોઈ નવો નિર્ણય લઈને ચોંકાવી શકે
માનવામાં આવે છે કે આ જ સપ્તાહમાં કોંગ્રેસ દ્વારા પ્રભારીની જાહેરાત કરવામાં આવી શકે છે. અવિનાશ પાંડે હવે પાયલટ કરતાં રેસમાં આગળ હોવાનું સામે આવ્યું છે જેમને રાજસ્થાનમાં પાયલટના વિવાદ સમયે પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે નાવા પ્રભારીની નિયુક્તિમાં અશોક ગેહલોતની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.