2019 રાજ્યસભાની પેટાચૂંટણી મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. 2 બેઠક પર અલગ-અલગ જાહેરનામાં મુદ્દે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અલગ ચૂંટણી યોજવાનો ચૂંટણી પંચને અધિકાર ન હોવાનો અરજીમાં દાવો કરવામાં આવ્યો છે.
અરજદારનો આક્ષેપ છે કે, એક પક્ષને ફાયદો કરાવવા અલગ જાહેરનામાં બહાર પાડવામાં આવ્યા છે. જેને લઈને ચૂંટણી રદ્દ કરી ફરીથી એક જ બેલેટથી ચૂંટણી કરવામાં આવે.
આપને જણાવી દઈએ કે તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલી રાજ્યસભાની પેટાચૂંટણીમાં એકી સાથે ચૂંટણી યોજવાને બદલે બે અલગ અલગ નોટિફિકેશન બહાર પાડીને એક જ દિવસે બે વખત મતદાન કરાવવામાં આવ્યું હતું. જેને લઈને બન્ને બેઠક પર ભાજપની જીત થઈ હતી. જો એકી સાથે બન્ને બેઠક પર મતદાન થાય તો એક બેઠક કોંગ્રેસને મળી શકે તેમ હતી.
મહત્વનું છે કે, 2 બેઠકો માટે 175 ધારાસભ્યોએ પોતાનો મત આપ્યો હતો. જે ચૂંટણીમાં ભાજપના બન્ને ઉમેદવારની જીત થઇ હતી. જોકે આ ચૂંટણીમાં કોંગ્રેસના 2 ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું હતું. બન્ને ધારાસભ્યોએ ભાજપને મત આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ૨ બેઠક પર પેટાચૂંટણી માટે ચૂંટણીપંચ દ્વારા અલગ અલગ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ હતું. જેને લઇને કોંગ્રેસ સુપ્રીમકોર્ટમાં પણ પહોંચી હતી.