ગુજરાત કોંગ્રેસ એકવાર ફરી વિધાનસભા ચૂંટણી પૂર્વે એક્શનમાં આવી છે. ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે શહેરી વિસ્તારમાં તૈયાર કર્યો એક્શન પ્લાન.
શહેરીજનોને રિઝવવા ગુજરાત કોંગ્રેસની કવાયત
વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ એક્શનમાં
મુખ્ય 4 મહાનગરોમાં સંગઠન કેમ થશે મજબૂત?
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઇને કોંગ્રેસ ફરીવાર એક્શનમાં આવી છે. શહેરી વિસ્તારની 60 બેઠકો માટે કોંગ્રેસે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. સતત હારતી બેઠકો પર કોંગ્રેસે અત્યારથી જ ચૂંટણી કાર્યાલયો ખોલી દીધા છે.
અમદાવાદના પોશ વિસ્તારમાં કોંગ્રેસે ખોલ્યું કાર્યાલય
જણાવી દઇએ કે, અમદાવાદના પોશ વિસ્તાર જોધપુરમાં કોંગ્રેસે ચૂંટણી કાર્યાલય શરૂ કર્યું છે. મહત્વનું છે કે, શહેરી લોકોની સમસ્યા સૌથી વધુ છે. મધ્યમવર્ગીય લોકોની આવકમાં ઘટાડો થયો છે. આથી, શહેરો માટે કોંગ્રેસ અલગથી કાર્યક્રમો તૈયાર કરશે.
સૌ પ્રથમ શહેરી વિસ્તારમાં કોંગ્રેસ સંગઠન મજબૂત કરશે
નોંધનીય છે કે, મુખ્ય 4 મહાનગરોમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત નથી. આથી, સૌ પ્રથમ શહેરી વિસ્તારમાં કોંગ્રેસ સંગઠન મજબૂત કરશે. શહેરી વિસ્તારની સમસ્યાઓ અલગ એટલે કોંગ્રેસની રણનીતિ પણ અલગ પ્રકારની રહેશે. બેરોજગારી, મોંઘુ શિક્ષણ અને ઘરનું ઘર વગેરે બાબતે કોંગ્રેસ રણનીતિ તૈયાર કરશે. સમગ્ર રણનીતિના ભાગે કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે.
વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં એકબાદ એક પડી રહ્યાં છે ગાબડા
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં એકબાદ એક મોટા ગાબડા પડી રહ્યાં છે. ત્યારે હવે કોંગ્રેસે અત્યારથી જ સતત હારતી બેઠકો માટે ચૂંટણી કાર્યાલયો ખોલી દીધા છે. તમને જણાવી દઇએ કે, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પક્ષપલટો કરશે. તેઓ આગામી 22 ઑગષ્ટે કમલમ ખાતે ભાજપમાં જોડાશે. સ્થાનિક ભાજપના કાર્યકરો અને ટેકેદારો આ પ્રસંગે હાજર રહેશે.
મહત્વનું છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિ જોવા મળતી હોય છે. એવામાં ગુજરાત કોંગ્રેસને વધુ એક કમરતોડ ઝટકો મળવા જઈ રહ્યો છે. સાબરકાંઠામાં કોંગ્રેસ તૂટવાના એંધાણ જોવા મળી રહ્યાં છે. કારણ કે હવે અશ્વિન કોટવાલ બાદ પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા કેસરિયો ધારણ કરવા જઈ રહ્યાં છે. 22 ઓગસ્ટે મહેન્દ્રસિંહ બારૈયા કેસરિયો ધારણ કરશે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાશે.