ગુજરાતમાં આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીઓને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસમાં હોદ્દેદારોની નિમણૂંક કરવા માટે કવાયત તેજ થઈ ગઈ છે પરતું અમદાવાદ મનપાના વિપક્ષના નેતા તરીકે કોને નિમવા તેને લઈને કોકડું ગુંચવાયું છે. અમદાવાદ મનપાના ચૂંટણીના વાણા વીતી ગયા બાદ અંદરખાને ખટરાગને કારણે અત્યાર સુધી સહમતી સધાઈ ન હતી. પણ આખરે હવે AMC વિપક્ષ નેતા પદ વિવાદને ફૂલ સ્ટોપ મારી દેવામાં આવ્યું છે. વિપક્ષ નેતાની પસંદગી માટે 4 વર્ષમાં કોંગ્રેસના 3 નેતા વિપક્ષ બનશે તેવી ફોર્મ્યુલા તૈયાર કરી છે.
સી જે ચાવડા અને નરેશ રાવલે વિવાદનો રસ્તો કાઢ્યો
લગભગ અમદાવાદ મનપા ચૂંટણીને 10 મહિના થવા આવ્યા પણ હજુ સુધી કોંગ્રેસ AMC વિપક્ષ નેતાને ચૂંટી શકી નથી. ત્યારે સી જે ચાવડા અને નરેશ રાવલે બીડું ઝડપાતા વિવાદનો રસ્તો નીકળ્યો છે. જુથવાદને ઠારવા અને ધારાસભ્યોના જૂથના કોર્પોરેટરને સાચવવા માટે આવનારા 4 વર્ષમાં કોંગ્રેસના 3 નેતા વિપક્ષ બનાવશે તેવી માહિતી મળી રહી છે. જેમાં દર સવા વર્ષે અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા નક્કી નામો પ્રમાણે નવા જાહેર થશે તેના પર સહમતી સધાઈ ચૂકી છે. શહેઝાદ ખાનને પહેલા નેતા વિપક્ષ તો બાદમાં રાજશ્રી કેસરી અને છેલ્લે કમલા ચાવડા કોંગ્રેસ AMC વિપક્ષ નેતા બનાવશે.
AMCમાં કોંગ્રેસના બે જૂથ આમને સામને હતા
AMC વિપક્ષ નેતા પદ વિવાદમાં, મહિલા કોપોરરેટરના જૂથે આ વખતે મહિલાને વિપક્ષ નેતા બનાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી તો બીજી તરફ શહેજાદ ખાને પણ વિપક્ષ નેતા બનવાની માંગ કરી છે. જેથી છેલ્લા છેલ્લા 10 મહિનાથી AMC માં નેતા વિપક્ષનું પદ ખાલી હતું. આથી સી.જે ચાવડા અને નરેશ રાવલને મામલો શાંત પાડવા નિરીક્ષક બનાવવામાં આવ્યા હતા. જેમાં તમામ નેતાઓને એક તાતણે બાંધવા ફોર્મ્યુલા તૈયાર કરી વારાફરતી વિપક્ષ નેતા બનાવાશે તેવી વાત પર મહોર મારવામાં આવી છે. શહેઝાદ ખાનનું નામ નેતા વિપક્ષ તરીકે ગમે તે ઘડીએ જાહેર થશે તે નક્કી થઈ ચૂક્યું છે.