ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને રાજસ્થાન લઇ જવાયા હતાં. ગુજરાતમાં 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાનારી છે ત્યારે કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ડર સતાવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના 14 ધારાસભ્યો એરપોર્ટથી રવાના થયા હતા અને લગભગ રાત્ર 9.30 વાગ્યાની આસપાસ જયપુર પહોંચ્યા હતાં. મળતી માહિતી અનુસાર બાકીના ધારાસભ્યો બાય રોડ જશે. જ્યારે એક ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની તબિયત સારી ન હોવાથી તેઓ ગયા નથી.
હોર્સ ટ્રેડિંગના ડરે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને કર્યા શીફ્ટ
રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્યોને ગુજરાત બહાર લઇ જવાની તાજવીજ
મતદાનના એક દિવસ પહેલા ધારાસભ્યોને ગાંધીનગર લવાશે
રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ભાજપે ત્રીજો ઉમેદવાર જાહેર કરતાં જ ગુજરાત કોંગ્રેસમાં હોર્સ ટ્રેડિંગનો ભય પેસી ગયો છે. રાજ્યસભાની બે બેઠકો જીતવા કોંગ્રેસના 35 ધારાસભ્યોને જયપુર લઈ જવામાં આવી રહ્યાં છે. જેમાંથી આજે 14 ધારાસભ્યો અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થયા હતા. જ્યારે કેટલાક ધારાસભ્ય બાયરોડ જશે. પ્રદ્યુમનસિંહ જાડેજા હાલ રવાના થયા નથી તેઓ સોમવારે રવાના થશે તેવી માહિતી મળી રહી છે. આ સિવાય 15 ધારાસભ્યને ઉદયપુર લઈ જવાશે. મહત્વનું છે કે, રાજ્યસભાના મતદાનના એક દિવસ પહેલા ધારાસભ્યોને ગાંધીનગર લવાશે.
રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યોની સંખ્યા પ્રમાણે ભાજપ-કોગ્રેસને ફાળે બે-બે બેઠકો આવે એમ છે. જ્યારે 26 માર્ચના રોજ મતદાન યોજાવાનું છે. પરંતુ ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને ઉતારતા કોંગ્રેસને હોર્સ ટ્રેડીંગનો ભય સતાવવા લાગ્યો છે. તેમજ રાજકીય ઉથલ પાથલ થવાની શક્યતા છે. રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસ બન્ને બેઠકો જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે.
ક્યા ધારાસભ્યોને જયપુર ખસેડાયા?
લાખા ભરવાડ
ચિરાગ કાલરિયા
ચંદનજી ઠાકોર
ગેનીબેન ઠાકોર
હિંમતસિંહ પટેલ
બળદેવજી ઠાકોર
પુનમ પરમાર
અજીત ચૌહાણ
ઇન્દ્રજીતસિંહ પરમાર
કાંતિ પરમાર
રાજેશ ગોહિલ
હર્ષદ રિબડિયા
નાથાભાઇ પટેલ
ઋત્વીજ મકવાણા
ગેનીબેન ઠાકોરે કોંગ્રેસની જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ
ગેનીબેને ગુજરાત બહાર જતા પહેલા ઘરેથી નિકળતા ગાયને રોટલી આપી શુકન લીધા હતા. તેમણે કહ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 2 બેઠક જીતશે. ભાજપ જે ઈચ્છે છે એ પૂર્ણ નહીં થાય. કોંગ્રેસમાં જ બધા રહેશે. કોંગ્રેસને અમારા પર ભરોસો છે. અમે અમારી રીતે જઈ રહ્યા છીએ. સોમવારે વિધાનસભા છે બધા હાજર રહેશે. કોઈને જવાનું કહેવામાં આવ્યું નથી.
ભાજપ ચિંતામાં મુકાયું
ધારાસભ્યોને રાજ્ય બહાર મોકલતા ભાજપ ચિંતામાં મુકાયું છે. ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાના ફિરાકમાં હતી. કોંગ્રેસના ધારાસભ્યો રાજ્ય બહાર જતા મુશ્કેલી વધી છે. કોંગ્રેસના ધારાસભ્યોના પરિવારનો ભાજપ સંપર્ક કરી શકે છે. પરિવારના સભ્યો મારફતે MLA સુધી પહોંચવાની ભાજપની રણનીતિ છે.