છેલ્લા ચાર વર્ષમાં કોંગ્રેસને અનેક જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ ગુમાવી છે. તોય સુધરવાને બદલે કોંગ્રેસ એકની એક ભૂલનું પુનરાવર્તન કરી રહ્યુ છે. 2015માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસે જીત મેળવી હતી. સત્તા ટકાવવામાં કોંગ્રેસ નેતૃત્વ નિષ્ફળ નિવડ્યું છે. આંતરિક જૂથવાદને કારણે કોંગ્રેસને મોટુ નુકસાન થયુ છે. વડોદરા, રાજકોટ અને સાબરકાંઠામાં સંકટની તલવાર માથે લટકી રહી છે.
કોંગ્રેસનો જ જૂથવાદ પતનનું કારણ
સત્તા મળ્યા પછી પણ સત્તા ન ટકાવી શક્યુ કોંગ્રેસ
છેલ્લા 4 વર્ષમાં કોંગ્રેસીઓ જ બન્યા કોંગ્રેસના દુશ્મન
કોંગ્રેસે છેલ્લા 4 વર્ષમાં અનેક જિલ્લા-તાલુકા પંચાયતમાંથી સત્તા ગુમાવી છે. જેમાં 16 નગરપાલિકાઓ અને 7 ધારાસભ્યો ગુમાવ્યા છે અને અનેક જગ્યાએ કોંગ્રેસની સત્તા સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ રહી છે. 31 જિલ્લા પંચાયતમાંથી 27 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે સત્તા મેળવી હતી પણ છેલ્લા 4 વર્ષમાં 10 જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસે સત્તા ગુમાવી છે
2015માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસે પંજો લહેરાવ્યો હતો. 31 જિલ્લા પંચાયત અને 230 તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે મોટાભાગની જિલ્લા અને તાલુકા પંચાયતો જીતી હતી 31 જિલ્લા પંચાયત માંથી 27 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે સત્તા મેળવી હતી પરંતુ ચાર વર્ષમાં 10 જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસે સત્તા ગુમાવી છે.
કોંગ્રેસ સાશિત ત્રણ જીલ્લા પંચાયતમાં આંતરિક વિખવાદ
વડોદરા, રાજકોટ અને સાબરકાંઠામાં વિખવાદ ચાલી રહ્યો છે. વડોદરામાં 16 બળવાખોરોએ અવિશ્વાસની દરખાસ્ત કરી છે. કોંગ્રેસ પોતાના જ પ્રતિનિધિઓને સમજાવવામાં અસફળ રહ્યુ છે. સાબરકાંઠા જીલ્લા પંચાયતમાં વિખવાદને કોંગ્રેસે સિફતથી ટાળી દીધો છે પણ હજુ લટકતી તલવાર સમુ કટક ટળ્યુ નથી. રાજકોટમાં બળવાખોરો અને ભાજપના સભ્યોની સંખ્યા બહુમતી સુધી નથી પહોંચી જેને લીધે હાલ તો બળવો શાંત થયો છે પણ ગમે ત્યારે સત્તા પલટાઈ શકે છે. રાજકોટમાં પણ કોંગ્રેસના બળવાખોર સભ્યોએ ભાજપ સાથે મળી બોર્ડ બનાવવા પ્રયાસ કર્યો હતો
કયા જિલ્લામાં કોંગ્રેસે સત્તા ગુમાવી
છેલ્લા 4 વર્ષમાં 10 જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસે સત્તા ગુમાવી છે જેમાં અમદાવાદ, ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દ્રારકા, ખેડા, મહિસાગર, પાટણનો સમાવેશ થાય છે
અત્યારે કઈ કઈ જિલ્લા પંચાયત ગુમાવી શકે છે
હાલ રાજકોટ, વડોદરા અને સાબરકાંઠા જિલ્લા પંચાયત પણ કોંગ્રેસે ગુમાવે તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના પ્રમુખ સામે કોંગ્રેસના જ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે.
કોંગ્રેસનો લૂલો બચાવ
કોંગ્રેસ પ્રમુખે પોતાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે સરકાર દ્રારા ગ્રાન્ટ રોકીને અથવા વહિવટી અડચણો ઉભી કરી સત્તા તોડવાનો સતત પ્રયાસ કરે છે. જ્યાં કોંગ્રેસના આંતરિક પ્રશ્નો છે તેનું સમાધાન કરવામાં આવશે. જેના એના જ કારણે સાબરકાંઠાનો વિવાદ સમાઈ ગયો છે. જયારે વડોદરાના 16 બળવાખોરો હજીપણ તકની શોધમાં છે.
83માંથી 29 નગરપાલિકાઓ ઉપર મેળવી હતી જીત પણ 16 નગરપાલિકા ગુમાવી
2015-16માં 83 નગરપાલિકાઓની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસે 29 નગરપાલિકાઓમાં સત્તા મેળવી હતી પરંતુ 29 માંથી કોંગ્રેસે 16 નગરપાલિકાઓ પણ ગુમાવી છે. જેમાં તાલાલા, દેવગઢ બારીયા, છોટાઉદેપુર, ડભોઈ, ચકલાસી, મહેમદાવાદ, ગોધરા, ખેડબ્રહ્મા, બગસરા, અમરેલી, ઉમરગામ, વઢવાણ, ચોટીલા, માણાવદર, સિક્કા, રાવલનો સમાવેશ થાય છે.
2017ની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસે સાત વિધાનસભાઓ પણ ગુમાવી છે.. જેમાં માણાવદર, જામનગર ગ્રામ્ય, ધ્રાંગધ્રા, રાધનપુર, બાયડ, જસદણ અને ઉંઝા વિધાનસભા પણ ગુમાવવાનો વારો કોંગ્રેસને આવ્યો છે.. કોંગ્રેસનું પ્રદેશનું નેતૃત્વ સત્તા મેળવ્યા બાદ તેને ટકાવી રાખવામાં નિષ્ફળ નિવડ્યા છે.