કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી વેણુગોપાલે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, 'ગુજરાતમાં 5 સપ્ટેમ્બરથી કોંગ્રેસનું ચૂંટણી કેમ્પેઈન શરૂ થઇ જશે.'
ગુજરાતમાં 5 સપ્ટેમ્બરથી કોંગ્રેસનું ચૂંટણી કેમ્પેઈન શરૂ
15 સપ્ટે.પહેલાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી થશે જાહેર
5 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધી ગુજરાત આવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી વેણુગોપાલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, 'ગુજરાતમાં 5 સપ્ટેમ્બરથી કોંગ્રેસનું ચૂંટણી કેમ્પેઈન શરૂ થશે. 15 સપ્ટેમ્બર પહેલાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થશે. મહત્વનું છે કે, 5 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધી ગુજરાત આવશે. ત્યારે ગુજરાતમાં ચૂંટણી કેમ્પેઈનનો પ્રારંભ કરાશે.'
વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં
તમને જણાવી દઇએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે. કોંગ્રેસે ચૂંટણી પહેલા ગુજરાતની જનતાને વધુ એક વચન આપ્યું છે. રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનવા પર જૂની પેન્શન યોજના લાગુ કરવાનું કોંગ્રેસે વચન આપ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસ સ્વાસ્થ્ય અને સરકારી કર્મીઓ માટે તેમજ કૃષિક્ષેત્રે રાજસ્થાન મોડલ અપનાવશે.
કોંગ્રેસની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરીશું
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજસ્થાન જેવું જ આરોગ્યનું મોડલ ગુજરાતમાં લાગુ કરવાનું વચન આપ્યું છે તેમજ જૂની પેન્શન યોજના લાગુ કરવાનું કોંગ્રેસે વચન આપ્યું છે. કોંગ્રેસે જો ગુજરાતમાં અમારી સરકાર બનશે તો ચિરંજીવી સ્વાસ્થ્ય યોજના લાગુ કરીશું તેવું વચન આપ્યું છે.
જાણો શું હતી જૂની પેન્શન યોજના?
નિવૃત્તિ બાદ દર મહિને પેન્શન તરીકે મળતી હતી નિશ્ચિત રકમ
સરકાર આપતી હતી પેન્શનની સંપૂર્ણ રકમ
આ રકમ કર્મચારીના છેલ્લા પગારના 50 % હતી
કોઈ કર્મચારી 10 વર્ષની સેવા પછી નિવૃત થવા પર પણ આ ફોર્મ્યુલા હેઠળ મળતું હતું પેન્શન
પહેલા પેન્શન માટે પગાર કાપવામાં આવતો નહોતો
નિવૃત્તિ બાદ 16.5 મહિનાનો પગાર ગ્રેજ્યુઈટી તરીકે આપવામાં આવતો હતો
નોકરી દરમિયાન મૃત્યુના કેસમાં 20 લાખ ગ્રેજ્યુઈટી મળતી હતી
આશ્રિતને પણ મળતી હતી સરકારી નોકરી
પેન્શન દરમિયાન મોંઘવારી ભથ્થું પણ મળતું હતું
આરોગ્ય માટે વીમા કંપનીનું પ્રિમિયમ સરકાર ભરશે
કોંગ્રેસે જણાવ્યું કે, એ સિવાય અલગ-અલગ અંગોના ટ્રાન્સપ્લાન્ટ વિનામૂલ્યે થઈ શકે તેવી પણ વ્યવસ્થા કરીશું. તદુપરાંત જણાવ્યું કે, આરોગ્ય માટે વીમા કંપનીનું પ્રિમિયમ સરકાર ભરશે. ખેડૂતોને દિવસે વીજળી અપાશે. ગ્રામીણ વિસ્તારમાં સરકારી અંગ્રેજી શાળાઓ શરૂ કરાશે. આ મામલે અશોક ગેહલોતે જણાવ્યું કે, 'ગુજરાતની જનતા જે ઈચ્છે તે કોંગ્રેસનો મેનિફેસ્ટો છે.'
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી વેણુગોપાલે નિવેદન આપતા જણાવ્યું કે, 'અમે ગઈકાલે વિવિધ મિટિંગ કરી હતી. સરકાર સામે ગુજરાતમાં ભારોભાર રોષ છે. એમને ગુજરાત ઉપર ઘણું જ ગૌરવ છે. 9 મહિના પહેલા મુખ્યમંત્રી સહિત સમગ્ર કેબિનેટ બદલી નાખી. બે દિવસ પહેલા 2 મંત્રીના ખાતા લઈ લેવાયા. 2017ની ચૂંટણી કરતા પણ અત્યારે પ્રજા ખૂબ નારાજ છે. અમે ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહ્યાં છીએ. 70 લોકો ઝેરી દારૂ પીવાથી મૃત્યુ પામે તે ભાજપ મોડેલ છે.'