ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખને લઈને ગુજરાતમાં ઉથલપાથલ શરૂ થઈ છે, નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય તે પહેલા દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સક્રિય થયા છે.
કોંગ્રેસના કોળી-ઠાકોર સમાજના નેતાઓની બેઠક
કોંગ્રેસને મજબૂત કરવાના મુદ્દે ચર્ચા કરાઈ
બેઠકમાં ઘણા મુદ્દે સર્જાઈ ખેંચતાણ
ગુજરાતમાં રાજકીય ગરમાવો
ગુજરાતમાં આવતા વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે વર્ષે 2022માં થનાર દરેક ચૂંટણીઓ દિલ્હીની સત્તા માટે નિર્ણાયક સાબિત થશે ત્યારે ગુજરાતથી લઈને યુપી સુધી રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓમાં ચૂંટણીઓને લઈને દોડધામ અત્યારથી ચાલુ છે. ભાજપ પાસે સત્તા ચાલુ રાખવાનો પડકાર છે જ્યારે કોંગ્રેસને 2024માં જો મજબૂતાઈથી લડવું હોય તો સારું પ્રદર્શન કરવું ખૂબ જરૂરી છે.
ભરતસિંહ સોલંકીની બેઠકમાં સામેલ ન થયા અમિત ચાવડા
ભાજપ અને કોંગ્રેસ બંને માટે ગુજરાત રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે ત્યારે દિલ્હીમાં જ્યાં ભાજપની કાર્યકારિણીની બેઠક થઈ રહી છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસમાં અંદરોઅંદર ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર કોંગ્રેસ હાઇકમાન્ડ ગુજરાતમાં કોંગ્રેસ પ્રભારીની સાથે સાથે નવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તથા વિધાનસભાના નેતાની જાહેરાત કરે તેવી પૂરી શક્યતા છે. એવામાં ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખને લઈને ગુજરાતમાં ઉથલપાથલ શરૂ થઈ છે. ધારાસભ્યો અને કાર્યકરોમાં નવા ચહેરાને લઈને ગણગણાટની શરૂ થયો છે.
OBC સમાજને અન્યાય થતો હોવાનો સૂર
કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય તે પહેલા દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સક્રિય થયા છે. શનિવારે કોંગ્રેસ આગેવાનો અને ધારાસભ્યોએ બેઠક કરી હતી જેમાં વર્તમાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હાજર રહ્યા ન હતા. આ બેઠકમાં પણ આગેવાનો વચ્ચે ખેંચતાણ થઈ હોવાનું સામે આવ્યું છે જ્યારે કેટલાક નેતાઓએ OBC સમાજને અન્યાય થઈ રહ્યો હોવાનો સૂર પણ ઉઠાવ્યો હતો.
ઉગ્ર થઈ ગયા હતા એક ધારાસભ્ય
કોંગ્રેસી આગેવાનોની બેઠકમાં જ્યાં એક જૂથે પ્રમુખ પદ માટે ઠાકોર સમાજના આગેવાનનો મુદ્દો ઉઠાવ્યો તો બીજા જૂથે કોઈ પણ પ્રમુખ બને તેને સાથ સહકાર આપવા સૂચન કર્યુ છે. એક જૂથ એવો પણ હતો જેણે કહ્યું કે વ્યક્તિ કરતાં પક્ષને મજબૂત કરવાની જરૂર છે. આ બેઠકમાં પૂર્વ સાંસદ અને ગાંધીનગરના ધારાસભ્ય બેઠકમાં ઉગ્ર બન્યા હોવાનું પણ સામે આવ્યું છે.
પાટીદાર નેતાઓમાં રોષ હોવાની આશંકા
એક તરફ બેઠકોનો દોર છે ત્યાં બીજી તરફ કોંગ્રેસના પાટીદાર સમાજના ધારાસભ્યોમાં પણ રોષ હોવાનું સામે આવ્યું છે. પાટીદાર ધારાસભ્યોમાં વિપક્ષ નેતા અને નવા પ્રદેશ પ્રમુખ માટે આંતરિક ગણગણાટ ચાલુ છે ત્યાં ધારાસભ્ય વિરજી ઠુમ્મરે સૂચક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પક્ષ સામે લડત નથી પણ પાટીદાર સમાજને સ્થાન મળવું જોઇએ. વિપક્ષ નેતા તરીકે પરેશ ધાનાણીને યથાવત રાખવા અને જો પરેશ ધાનાણી ન માને તો અન્ય કોઇ પાટીદાર નેતાને પદ મળવું જોઈએ.