ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાજ્યમાં કોંગ્રેસ સહિતના તમામ પક્ષોએ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે કોંગ્રેસે દર મહિને કામગીરીનો રિવ્યુ લેવાનો શરૂ કરી દીધો છે.
મિશન 2022 માટે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર એક્શન મોડમાં
સંગઠનનું કામ ન કરનારા હોદ્દેદારોની હકાલપટ્ટી શરૂ કરાઇ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મિશન 2022 માટે ગુજરાત કોંગ્રેસે તૈયારી આરંભી દીધી છે. જે અંતર્ગત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે સંગઠનનું કામ ન કરનારા હોદ્દેદારોની હકાલપટ્ટી કરી દીધી.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કામગીરીમાં આળસ કરનારા 50 તાલુકા પ્રમુખોને પદભ્રષ્ટ કર્યા
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે છેલ્લા 2 મહિનામાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા અપાયેલા કાર્યક્રમમાં ગેરહાજર રહેલા અને સભ્ય નોંધણી તથા જનમિત્રોની કામગીરીમાં આળસ કરનારા 50 તાલુકા પ્રમુખોને પદભ્રષ્ટ કર્યા છે. આ તમામ તાલુકા પ્રમુખોની 4 મહિના પહેલા જ નિમણૂંક કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર દર મહિને કામગીરીનું રિવ્યુ કરી રહ્યાં છે. જે અંતર્ગત તાલુકા પ્રમુખોને પદભ્રષ્ટ કર્યા છે.
કોંગ્રેસે ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાતમાં 7 કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરી છે
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ પોતપોતાની રીતે ચૂંટણી માટેની સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એમાંય આ વર્ષે તો ગુજરાતમાં ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. કારણ કે આ વખતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની સાથે-સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ પાર્ટી ગુજરાતની સત્તામાંથી બહાર છે. ત્યારે કોંગ્રેસે આ વર્ષે ચૂંટણી પહેલા તમામ રણનીતિ તૈયાર કરી દીધી છે. જેના ભાગ રૂપે સોનિયા ગાંધીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અને પૂર્વમાં ગુજરાતના પ્રભારી રહી ચૂકેલા અશોક ગેહલોતની ગુજરાતમાં સીનિયર ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરી છે. જ્યારે ટીએસ સિંહ દેવ અને મિલિંદ દેવડાને ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યા છે. જ્યારે વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખતા કોંગ્રેસે ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાતમાં 7 કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરી છે.
7 કાર્યકારી પ્રમુખોની નિમણૂંક બાદ પણ કોંગ્રેસમાં નારાજગી યથાવત
જો કે, કોંગ્રેસે પ્રથમવાર ગુજરાતમાં 7 કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરી હોવા છતાં કોંગ્રેસમાં નારાજગીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. જેથી નારાજ લોકોને સાચવવા કોંગ્રેસમાં વધુ 3થી 4 કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરાશે. જેમાં પાટીદાર, બ્રહ્મસમાજ અને વણિક સમાજને પ્રતિનિધિત્વ મળી શકે છે. આગામી અઠવાડિયાની અંદર જ વધુ 3થી 4 કાર્યકારી પ્રમુખની નિમણૂંક થઇ શકે છે.