ગાંધીનગરઃ ત્રિપુરાના CM વિપ્લવદેવ બાદ ગુજરાતના CM વિજય રૂપાણીએ વિવાદિત નિવેદન આપતા ચર્ચાનો વિષય બન્યા છે. CM વિજય રૂપાણીએ દેવર્ષિ નારદ જયંતીના કાર્યક્રમમાં નારદમુનિની તુલના ગૂગલ સાથે કરતા નિવેદન આપ્યુ કે જેવી રીતે ઈન્ટરનેટ સર્ચ એન્જીન ગૂગલ આજના સમયમાં છે એવી જ રીતે એ સમયે નારદમુનિને પણ સમગ્ર વિશ્વની જાણકારી હતી.
તેઓ સૂચનાઓ અનુસાર કામ કરતા હતા. માહિતી એકત્ર કરી માનવજાતિના સુધાર એ તેઓનો ધર્મ હતો અને એ જરૂરી પણ હતું. કારણ કે તેઓ વિશ્વમાં થતી તમામ ઘટનાઓનુ ધ્યાન રાખતા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉ ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવદેવે પણ આવુ જ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે ભારતમાં લાખો વર્ષો પહેલાં ઈન્ટરનેટ હતું. બીજા દેશો ભલે ઈન્ટરનેટ અને સેટેલાઈટના આવિષ્કારની વાત કરતા હોય પણ મહાભારત યુગમાં જ ઈન્ટરનેટની શોધ થઈ ચૂકી હતી. ઈન્ટરનેટ દ્વારા જ ધૃતરાષ્ટ્ર ઘરે બેસીને મહાભારતના યુદ્ધની જાણકારી મેળવતા હતા.