ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલનો દિલ્હી પ્રવાસ, પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મનુસખ માંડવીયાની કરી મુલાકાત
CM ભૂપેન્દ્ર પટેલનો દિલ્હી પ્રવાસ
કયા દિગ્ગજ નેતાઓ સાથે કરી મુલાકાત?
ગુજરાતના રાજકારણને લઈ શું થઈ ચર્ચા?
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે છે. મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલની પ્રથમ દિલ્હી યાત્રાએ છે. જ્યાં તેઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની સૌજન્ય મુલાકાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તો આ મુલાકાત દરમિયાન તેમણે અમિત શાહ સાથે શૂભચ્છા મુલાકાત કરી છે. તેમણે અમિત શાહને તીર્થંકર સીમંધર સ્વામીની મૂર્તિ પણ આપી છે.
PM મોદી સાથે કરી મુલાકાત
CM ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં 4 વાગ્યાના સુમારે PM મોદી સાથે મુલાકાત કરી હતી. CM બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે પહેલી શિષ્ટાચાર મુલાકાત હતી. કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી નવા બને એટલે થોડાજ દિવસોમાં પ્રધામંત્રી સાથે શુભેચ્છા મુલાકાતનો સમય માંગતા હોય છે. જે બાદ પીએમઑમાંથી મંજૂરી મળતા PM મોદી સાથે મુલાકાત કરતા હોય છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પ્રવાસ દરમિયાન પીએમ મોદી સાથે કરેલી મુલાકાતમાં તેમણે સિમંધર સ્વામીની મૂર્તિ ભેટ આપી હતી. આ મુલાકાતમાં ગુજરાતના રાજકારણની હાલની સ્થિતિની ચર્ચા થઈ હોય તેવુ અનુમાન લગાવાઈ રહ્યું છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ,અમિત શાહ, મનસુખ માંડવિયાને પણ મળ્યા
દિલ્હીની મુલાકાતે ગયેલા ગુજરાતના મુખ્યમંત્રીએ દિવસની શરૂઆતમાં સૌ પ્રથમ ભારતના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિની રામનાથ કોવિન્દની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે એક પુસ્તક ભેટ આપ્યું હતું જે બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ સીધા અમિત શાહને મળવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે તીર્થંકર સીમંધર સ્વામીની મૂર્તિ અમિત શાહને ભેટ આપી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાતની હાલની સ્થિતિ અને આવનાર ચૂંટણી વિશે ચર્ચા થયાની આશંકાઓ સેવાઇ રહી છે. ત્યાર બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે કરી મુલાકાત કરી હતી. તેમનું સાલ ઓઢાડીને સન્માન કર્યુ હતું. તેમની સાથે આરોગ્યને લગતી બાબતોનો લઇને ચર્ચા કરી હતી.ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે પણ ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી.રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે પણ મળી ચર્ચા વિચારણા કરી હતી.
ગઈકાલે આનંદીબેન પટેલ સાથે કરી હતી મુલાકાત
નોંધનીય છે કે ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. આનંદીબેન પોતાના અંગત કારણોસર બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે ગઈકાલે સવારે ભૂપેન્દ્ર પટેલે તેમની સાથે મુલાકાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલ આનંદીબેનની ખૂબ જ નજીકનાં નેતા ગણવામાં આવે છે, જ્યારે સીએમ તરીકે તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી તે સમયે પણ ભૂપેન્દ્ર પટેલે આનંદીબેનને યાદ કર્યા હતા. આ સિવાય હાલ પણ તેઓ જે ઘાટલોડિયા સીટથી ધારાસભ્ય છે તે સીટ પણ આનંદીબેન પટેલની જ હતી.