ગુજરાત સરકાર માટે આવનારો સમય મુશ્કેલીઓ વધારનારા બની શકે છે. જે અનામતના ભૂતે માજી મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની ખુરશી છીનવી લીધી હતી. આ જ અનામતનું ભૂત ફરીથી ગુજરાતમાં ધણધણી રહ્યુ છે. છેલ્લા દોઢ મહિનાથી LRDમાં ભરતીના મુદ્દાને લઈને માલધારી સમાજની મહિલાઓ આંદોલન ઉપર બેઠી છે.
માલધારી સમાજની મહિલાનું આંદોલન ભારેલા અગ્નિજેવુ
ભાજપના નેતાઓ જ ભાજપ વિરુધ્ધ
એક પછી એક સરકારને ઘેરવા ફુંકાઈ રહ્યો છે અનામતનો પવન
ગુજરાતમાં અનામતનો મુદ્દો સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યો છે. ધીમી ધારે માલધારી સમાજ દ્વારા શરૂ થયેલું આંદોલન આગળ જતા મોટી આગમાં પરિવર્તિત થઈ શકે છે. ગુજરાતમાં ભાજપના નેતાઓ પરબત પટેલ, સાસંદ પૂનમ માડમ, રાજ્યસભાના સભ્ય જુગલજી ઠાકોર, સાંસદ કિરીટ સોલંકી સહિતના નેતાઓ ગાંધીનગરમાં LRDમાં ભરતી મામલે સરકારને ટકોર કરી ચૂક્યા છે અને પત્ર પણ લખી ચૂક્યા છે.
કોળી સમાજે પણ ખેંચી બાયો
કોળી સમાજે પણ ભાજપ સરકાર સામે અનામત મામલે વિરોધ નોંધાવ્યો છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાળિયાનું અનામત મામલે કોળી સમાજને સમર્થન મળ્યુ હોવાનો કોળી સમાજનો દાવો છે. એ સિવાયના સાંસદો પણ સાથમાં હોવાનું અંદરખાને ચર્ચાઈ રહ્યુ છે. અનામતનો મુદ્દો ભાજપમાં પણ વર્ગવિગ્રહનું કારણ બની શકે છે.
ઓબીસી એકતામંચ મેદાને
આવનારા સમયમાં ભાજપ સરકાર સામે અનામત મુદ્દે આંદોલનની આખી રૂપરેખા ઓબીસી એકતામંચે તૈયાર કરી રાખી છે. જિલ્લા કક્ષાએ આગેવાનો દ્વારા આવેદન પત્રો આપવામાં આવશે અને પછી ધીરે ધીરે આંદોલનને વેગ આપવામાં આવશે. આંદોલનની આખી વ્યૂહ રચના ભાજપના જ નેતાઓ દ્વારા ઘડી કઢાઈ હોવાની પણ ચર્ચા છે.
બિન અનામત વર્ગના આગેવાનો પણ મેદાનો
બિન અનામત વર્ગના આગેવાનો અમદાવાદના પાલડી સ્થિત રાજીવ ગાંધી ભવનમાં પહોંચ્યા હતા. દિનેશ બાંભણીયા, પૂર્વીન પટેલ, ભરત રાવલ રાજ શેખાવત સહિતના કાર્યકરો કોંગ્રેસ ભવનમાં રજૂઆત માટે પહોંચ્યા હતા. LRD મામલે ઓપન કેટેગરીની મહિલાઓને સમર્થનની માંગ કરવામાં આવી છે. આ મામલે ઉમેદવારોએ કોંગ્રેસના નેતાઓને રજૂઆત કરી હતી.