રાજ્યનાં અનેક વિસ્તારોમાં ફરી એકવાર માવઠું આવી શકે છે. હવામાન વિભાગ તરફથી આગાહી આપવામાં આવી છે.
ગુજરાતમાં ફરી આવી શકે છે માવઠું
29-30 માર્ચનાં આવી શકે છે મંદ વરસાદ
અનેક જિલ્લાઓ અંગે કરવામાં આવી છે આગાહી
ગુજરાતના માથે માવઠાનું સંકટ હજુ પણ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં ક્યાંય વરસાદ વરસ્યો હોય તેવું જાણવા મળ્યું નથી, પરંતુ આગામી તા. ૨૯ અને ૩૦ માર્ચે ફરી રાજ્યના ખેડૂતો માટે કમોસમી વરસાદની આગાહી નવી આફત નોંતરશે. સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ આ બંને દિવસોમાં ફરી માવઠું પડી શકે છે.
૨૯ માર્ચેનાં પડી શકે છે માવઠું
સ્થાનિક હવામાન વિભાગની આગાહી જણાવે છે કે તા. ૨૯ માર્ચે રાજ્યના દ્વારકા, જામનગર અને કચ્છ, જ્યારે ૩૦ માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ
અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ત્રણ દિવસ આકાશ સ્વચ્છ રહેશે, જ્યારે ગુરુવારે તે અંશતઃ વાદળછાયું બનશે, જોકે શુક્રવાર તા. ૩૧ માર્ચે શહેરના આકાશમાં વાદળાઓ છવાઈ જશે. અલબત્ત, હવામાન વિભાગ દ્વારા તે દિવસે શહેરમાં વરસાદ પડવાની કોઈ આગાહી કરાઈ નથી.
આજે શહેરમાં ૧૮.૬ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન
અત્યારે તો હવામાન સૂકું થયું હોઈ કમોસમી વરસાદ પડ્યાના કોઈ અહેવાલ નથી. અમદાવાદમાં પણ આકાશ સ્વચ્છ થયું છે અને સૂર્યનારાયણને વાદળાઓ નડતાં નથી. આજે શહેરમાં ૧૮.૬ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય તાપમાનથી ત્રણ ડિગ્રી જેટલું ઓછું હતું, જ્યારે ગઈ કાલે ૩૪.૫ ડિગ્રી સેલ્સિયસ મહતમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં બે ડિગ્રી ઓછું રહેતાં અમદાવાદીઓ માટે રવિવારની રજાનો દિવસ હવામાનની દૃષ્ટિએ આરામદાયક ગયો હતો. પરીક્ષાના માહોલના કારણે લોકોએ કામ સિવાય બહાર નીકળવાનું ટાળ્યું હતું, જોકે ચૈત્ર નવરાત્રિના કારણે સાંજથી મા અંબેનાં મંદિરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. માઈભક્તોએ પોતપોતાનાં કુળદેવીની પણ ભક્તિભાવપૂર્વક ઉપાસના કરી હતી તો પાવાગઢ, અંબાજી, બહુચરાજી અને ચોટીલા જેવાં શક્તિપીઠ ખાતે હજારો ભક્તો ઊમટી પડ્યા હતા.