ગુજરાત કેડરના અધિકારાઈ રાકેશ અસ્થાનાને સ્ટર્લિંગ બાયોટેક કેસમાં ક્લિનચીટ મળી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે જે બાદ હવે CBIમાં નવા બોસ બનવાની રેસમાં અસ્થાનાની દાવેદારી વધુ મજબૂત થઈ છે.
રાકેશ અસ્થાનાને સ્ટર્લિંગ બાયોટેક કેસમાં ક્લિનચીટ
સાંડેસરા બંધુઑ સાથે ઘરોબો હોવાથી લાંચ લેવાનો હતો આરોપ
અગાઉ મોઇન કુરેશી કેસમાં ક્લિનચીટ મળી હતી
કેસમાંથી અસ્થાના આરોપમુક્ત થઈ જતાં સીબીઆઈ બોસ બનવાનો માર્ગ મોકળો
અસ્થાના આરોપમુક્ત
સૂત્રો અનુસાર વર્તમાન BSF ચીફ અને ગુજરાત કેડરના અધિકારી રાકેશ અસ્થાનાને ₹5,383 બેન્ક લોન ફ્રોડ કેસમાં રૂશ્વત લેવાના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે વડોદરાના સાંડેસરા બંધુની સ્ટર્લિંગ બાયોટેક કંપની પાસેથી બેન્ક લોનના કેસમાં લાંચ-રૂશ્વત લેવાનો આરોપ રાકેશ અસ્થાના પર હતો, આ આરોપ વિવિધ ડાયરીના આધારે લગાવવામાં આવ્યા હતા.
રૂશ્વત લેવાનો હતો આરોપ
સાંડેસરા બંધુઓએ પોતાની ડાયરીમાં જે ઉલ્લેખ કર્યા હતા તેના આધારે અસ્થાના શંકાના ઘેરામાં હતા અને CBIના સ્કેનરમાં હતા. આ ડાયરીમાં આરોપ હતો કે અસ્થાના બેનામી સંપત્તિના માલિક છે.
કોણ છે આ સાંડેસરા બંધુઑ
નોંધનીય છે કે સ્ટર્લિંગ બાયોટેક કંપનીના માલિક બંને ભાઈઓ બેન્કથી પાંચ હજાર કરોડ રૂપિયાની લોન લઈને ભાગેડુ છે અને ભારતની ઘણીબધી એજન્સીઓને આ બંને ભાઇઓની તલાશ છે.
કેમ લાગ્યા હતા આરોપ
રાકેશ અસ્થાના દિલ્હી ગયા તે પહેલા તેમણે વડોદરામાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી હતી અને માનવામાં આવે છે કે તે સમયથી જ તેમના સાંડેસરા ભાઈઓ સાથે સારા સંબંધો હતા. જ્યારે એજન્સીઓ આ બંને ભાઈઓની તપાસ કરી હતી ત્યારે ડાયરી મળી આવી જેમાં વારંવાર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે નાણાં RAને આપવામાં આવ્યા છે જે રાકેશ અસ્થાના પર સવાલો ઊભા થયા હતા.
CBIમાં સર્વોચ્ચ પદ પર પહોંચવાનો માર્ગ મોકળો!
નોંધનીય છે કે હાલમાં જ સીબીઆઈના ડાયરેક્ટર પદ પરથી શુક્લા નિવૃત્ત થયા છે અને એજન્સીમાં નવા ડાયરેક્ટર કોને બનાવવા તે માટે કેન્દ્ર સરકાર જે યાદી તૈયાર કરી છે તેમ રાકેશ અસ્થાનાનું નામ મોખરે છે. હવે અસ્થાના આરોપ મુક્ત થઈ જતાં સીબીઆઈના બોસ બનવામાં અસ્થાનાની રાહમાં કોઈ અડચણ નહીં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. જોકે સીબીઆઇના નવા ડાયરેક્ટરનો છેલ્લો નિર્ણય હાઇપાવર કમિટી દ્વારા લેવામાં આવશે.
પૂરાવાના અભાવે આરોપમુક્ત
સાંડેસરા ભાઈઓ દ્વારા રાકેશ અસ્થાનાને રૂશ્વત આપવામાં આવી હોવાના કેસને હવે CBIએ બંધ કરી દીધો છે અને એજન્સીએ કહ્યું કે તપાસમાં કશું હાથ નથી લાગ્યું.
બે અધિકારીઓ આવ્યા હતા સામસામે
નોંધનીય છે કે તે સમયે રાકેશ અસ્થાના સીબીઆઇમાં બીજા નંબરના અધિકારી હતા અને એજન્સીના ડાયરેક્ટર આલોક વર્માએ અસ્થાના પર ગંભીર આરોપ લગાવ્યા હતા જે બાદ એજન્સીમાં બે અધિકારીઓની ખુલ્લી લડાઈ દેશ સામે આવી ગઈ હતી. તણાવ વધતાં કેન્દ્ર સરકારે રાતોરાત બંનેને એજન્સીમાંથી બહાર કાઢીને ત્રીજા અધિકારીની નિમણૂક કરી હતી.