મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે કેબિનેટ બેઠક, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે થઈ શકે છે ચર્ચા
કેબિનેટ બેઠકનું આયોજન
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે બેઠક
અનેક મુદ્દાઓ પર કરાશે સમીક્ષા
ચૂંટણી પહેલા દરેક સમાજ દરેક વર્ગ પોતાની પડતર માંગણીઓને લઈ સરકાર સામે રજૂઆત કરી રહ્યો છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળશે. જેમાં સરકારના કામો અને તેની વ્યૂહરચના પર ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે.
હિંમતનગર અને ખંભાતની ઘટનાઓ મુદ્દે ચર્ચા થઇ શકે છે
આજની આ કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે ચર્ચા સંભવ છે કારણ કે હિંમતનગર અને ખંભાતમાં રામનવમી દરમિયાન થયેલી હિંસાની ઘટનાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ શકે છે. તે સિવાય રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીનો પોકાર ઉઠ્યો છે. ખેડૂતોને વીજળી તેમજ ઉનાળુ પાકના સિંચાઇના આયોજન પર પણ ચર્ચા થશે તેવી માહિતી મળી રહી છે.
PM મોદીના ગુજરાત પ્રવાસ અંગે પણ કરવામાં આવશે ચર્ચા
મહત્વનું છે કે 19મી એપ્રિલે PM મોદી ગુજરાતના જામનગર આવશે અને 21 એપ્રિલે PM મોદી બનાસકાંઠાના પ્રવાસે છે જેના કાર્યક્રમો અને આયોજન તેમજ તૈયારીઓને લઈ ચર્ચા કરવામા આવશે. તો બીજી તરફ ગુજરાતમાં કોરોના XE વેરિએન્ટની એન્ટ્રી થઈ છે જે ચિંતાનો વિષય છે આમ અનેક વિવિધ મુદ્દાઓને લઈને આજની કેબિનેટમાં ચર્ચા થશે અને જે બાદ યોગ્ય નિર્ણય કરવામાં આવશે.
શાંતિ ભંગ કરનાર તત્વોને કોઇ પણ સંજોગોમાં સાંખી લેશે નહીં: CM
મંગળવારે રાત્રે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હિંમતનગર અને ખંભાતમાં થયેલી હિંસા અંગે બેઠક મળેલી. જેમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી DGP તથા મુખ્ય સચિવ, ગૃહ સચિવ સહિતના ઉચ્ચાધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા કહ્યું છે કે રાજ્યની શાંતિને ડહોળવા માગતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી દેવામાં આવી છે. સામાજીક સૌહાર્દ જળવાઇ રહે તે માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. શાંતિ ભંગ કરનાર તત્વોને કોઇ પણ સંજોગોમાં સાંખી લેશે નહીં. ખંભાતની ઘટનામાં 9 આરોપીઓની ધરપકડ કરી જ્યારે હિંમતનગરની ઘટનામાં 22 આરોપીઓની ધરપકડ કરાઇ છે. બંને શહેરોની ઘટનાઓ મુદ્દે CMને માહિતી આપવામાં આવ્યા બાદ તેમણે કડકમાં કડક પગલા લેવાના આદેશ આપી દીધા છે.