રાજ્યની છ વિધાનસભા બેઠકની યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ પરિણામોમાં કોંગ્રેસનું પ્રદર્શન ઘણું સુધરતું દેખાયું એટલું જ નહીં ભાજપની ચડતી કળામાં પણ કોંગ્રેસે તેની પરંપરાગત બેઠક જાળવી રાખીને ભાજપને આંચકો આપ્યો છે.
રાજ્યની છ વિધાનસભા બેઠકની યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા
કોંગ્રેસે તેની પરંપરાગત બેઠક જાળવી રાખીને ભાજપને આંચકો આપ્યો
અલ્પેશ ઠાકોરને અનુસરીને ભાજપમાં જોડાયેલા ધવલસિંહ ઝાલાને ભાજપની નવી છત્રછાયા જીતાડી શકી નથી. પક્ષપલટા બાદ ધવલના ગુરુ તો હાર્યા જ સાથે ચેલાને પણ હારનો સ્વાદ ચાખવો પડયો છે.
રાજ્યની 6 વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આ પરિણામોએ કોંગ્રેસમાં ઉત્સાહનો સંચાર કર્યો છે. તો ભાજપને આ પરિણામથી થોડો આંચકો લાગ્યો છે. કેમકે ભાજપના નામે કોઈપણ ચૂંટાઈ જાય તેવા દેશવ્યાપી માહોલ છે. છતાં ત્રણ મહિના પહેલા જ ઉજળા સપના સાથે ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને મતદારોએ જાકારો આપ્યો છે.
આ જાકારો ભાજપને તો મળ્યો છે જ તેથી વધારે પક્ષપલટું ઉમેદવારને મળ્યો છે.
આમ તો ભાજપમાં જોડાવાની ધવલસિંહ ઝાલાની અંગત ઈચ્છા ન હતી. પરંતુ ગુરુ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા તો ધવલસિંહ ઝાલા પણ તેમના પગલે ભાજપમાં જોડાઈ ગયા હતા. પછી તો તેઓ એવા સપનામાં રાચતા હતા કે, તેઓ ભાજપમાંથી પણ જીતી શકે છે. તેમની આ આશા છેક મતગણતરી શરૂ થઈ ત્યાં સુધી જીવતી રહી હતી. તેમણે જનતાના મિજાજની અવગણના કરીને પોતના વિશે એવું ભવિષ્ય પણ ભાખી દીધું હતું કે, પોતે 15000 કરતાં વધારે મતની લીડથી જીતશે.
ધવલસિંહ ઝાલા મતગણતરની આગલા દિવસ સુધી પોતે જીતશે તેવા દિવાસ્વપ્નમાં રાચતા રહ્યા. પરંતુ જે રીતે ધવલસિંહ ઝાલા કોંગ્રેસમાંથી મળેલા જનાદેશને અંધારામાં મૂકીને ભાજપમાં જોડાયા હતા ઠીક તેવી જ રીતે બાયડની જનતાએ ધવલસિંહને અંધારમાં રાખીને તેમનું ભાવિ લખીને ઈવીએમમાં સીલ કરી દીધું હતું. પરંતુ આજે જેવા ઈવીએમ ખૂલ્યા કે ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોરને જાણે ફરીવાર ઘેર રહેવાનો કે મનફાવે તે પક્ષની સેવા કરવાનો જનાદેશ મળી ગયો. અને આ વાતનો અંદાજ આવતા ધવલસિંહ ઝાલા બહુ વાર લાગી ન હતી. જો કે તેમ છતાં તેમણે આક્રમક અંદાજમાં ભાજપ તરફ વફાદારી જાળવી રાખતા સૂર વ્યક્ત કર્યા હતા.
મોટી મહત્વકાંક્ષા સાથે કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર તો રાધનપુરથી હાર્યા જ સાથે સાથે ધવલસિંહ ઝાલાને પણ બાયડ હાર સહન કરવી પડી. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે, સૂકાં સાથે લીલું પણ બળે. આ કહેવત અલ્પેશ ઠાકોર અને સાથે ગયેલા ધવલસિંહ ઝાલાને સારી રીતે લાગુ પડે છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને કોંગ્રેસના છત્ર નીચે લોકોએ ખોબલે ખોબલે મત આપી ચૂંટયા હતા. પરંતુ તેમને એવું લાગ્યું કે પક્ષ કરતાં વ્યક્તિ મોટો છે.
તેમને પોતાની મોટાઈ કોંગ્રેસમાં ગુંગળાતી લાગી તો તેમણે મહા આકાશ જેવા ભાજપનો પાલવ પકડી લીધો. પરંતુ સત્તાની મહત્વકાંક્ષામાં તેઓ ભૂલી ગયા કે જનતાએ હવે આપણો પાલવ મૂકી દીધો છે. જો કે આજે મતપેટી ખૂલી તો તેમનો ભાવ તેમને મળી ગયો હતો. અલ્પેશ ઠાકોર અને ઘવલસિંહ ઝાલા બન્નેની હાર થઈ છે.