ગુજરાતમાં 3જી નવેમ્બરે આઠ બેઠકો પર પેટાચૂંટણી યોડાવાની છે ત્યારે આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. આજે સાંજે પાંચ વાગ્યા પછી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે, એવામાં હાર્દિક પટેલે ગઈકાલે હાર્દિક પટેલે માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામમાં સભા સંબોધી હતી.
કોંગ્રેસ લડી લેવાના મૂડમાં
માળીયા તાલુકાના જુના ઘાટીલામાં સભા
આજથી ચુંટણી પ્રચાર થશે બંધ
રવિવારે સાંજે 5 વાગ્યે વિધાનસભા બેઠકોની 8 ક્ષેત્રોની પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય એ પૂર્વે શનિવારે રાત્રે માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે કોંગ્રેસની ખેડૂતસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, જામનગરના ધારાસભ્ય વિક્રમ માડમ, લલિત વસોયા સહિતના અગ્રણી કોંગ્રેસ નેતાઓએ સંબોધન કરી મતદારો પાસે કોંગ્રેસ માટે સમર્થન માંગ્યું હતું.
લોખંડી પુરુષની જન્મ જયંતી નિમિત્તે હું જુના ઘાટીલા આવ્યો
હાર્દિક પટેલે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીને જણાવ્યું હતું કે, આજે ભારતના લોખંડી પુરુષની જન્મ જયંતી નિમિત્તે હું જુના ઘાટીલા આવ્યો છું ત્યારે ભારતીય જનતા પાર્ટીના સાચા ચહેરાને આપના સમક્ષ ઉજાગર કરવો એ સમયની માંગ છે.
2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ કપાસનો ભાવ પંદરસો રૂપિયા મળશે તેવું જણાવ્યું હતું
ભારતીય જનતા પાર્ટીએ હંમેશાંથી ઉદ્યોગપતિઓને જ વધુ મહત્વ આપ્યું છે. ખેડૂતોના હિત અંગે વિચારવાનો સમય આવે ત્યારે ભાજપ હંમેશા પાછીપાની કરતું આવ્યું છે. ભાજપના આપેલા વાયદાઓ હંમેશા ચૂંટણીલક્ષી હોય છે. 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ કપાસનો ભાવ પંદરસો રૂપિયા મળશે તેવું જણાવ્યું હતું પણ આપણા ગુજરાતનો ભોળો ખેડૂત ચોખવટ કરતા ભૂલી ગયો હતો કે પંદરસો રૂપિયા એક મણના મળશે કે બે મણના ? હાલ કપાસનો ભાવ ૭૦૦થી ૭૫૦ રૂપિયા પ્રતિ મણ લેખે વેચાઈ રહ્યો છે ત્યારે ભાજપને મત આપેલો ખેડૂત પસ્તાઈ રહ્યો છે.
ફરી એકવાર જો પસ્તાવવું ન હોય તો કોંગ્રેસ
ફરી એકવાર જો પસ્તાવવું ન હોય તો કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલને આપનો કિંમતી મત આપશો. હાર્દિક પટેલે પોતાના વક્તવ્યના અંતમાં સત્તાસ્થાને બેસેલા ભ્રષ્ટ લોકોને રાવણ સાથે સરખાવ્યા હતા તથા મતદાર બહેનોને શબરી સાથે સરખાવ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલને રામ સાથે સરખાવીને જયંતિલાલ પટેલ એક નંબરના ઉમેદવાર છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, બે નંબરના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના છે કે જે બે નંબરના ધંધા કરે છે એમ જણાવીને કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલ પટેલને ઓછામાં ઓછા વીસ હજાર મતની સરસાઇથી જીતાડવા માટે અપીલ કરી હતી.