કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતા ખાલી પડેલી બેઠકો પર 3 નવેમ્બરે પેટાચૂંટણી યોજાઇ હતી. ત્યારે આજે (10 નવેમ્બર) આ પેટાચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે. જેમાં ભાજપને કોંગ્રેસ પાસેથી તમામ 8 બેઠકો આંચકી છે. જેને લઇને વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ 111 પર પહોંચ્યું છે. કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી છે અને જનતાએ આપેલા જનાદેશને સ્વીકાર્યો છે. ત્યારે ભાજપની જીત અને કોંગ્રેસની હારના કારણો જાણો...
ગુજરાતની પેટાચૂંટણીમાં કોંગ્રેસની મહેનત રંગ ન લાવી
ભાજપની તમામ બેઠકો પર જીત, કોંગ્રેસની હાર
ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ 111 પર પહોંચ્યું
પેટાચૂંટણીમાં 8 બેઠકો જીત્યા પછી ભાજપની બેઠકોનો આંકડો 111 પર પહોંચ્યો છે. 2017માં 77 બેઠકો જીતેલા કોંગ્રેસની સ્થિતિ હવે વિધાનસભામાં 65 બેઠકોની રહી છે. 2017થી અત્યાર સુધીની પેટાચૂંટણીઓમાં કોંગ્રેસે 12 બેઠકો ગુમાવી છે. દ્વારકા અને મોરવા હડફની બેઠકો કોર્ટ કેસના કારણે હાલ ખાલી પડી છે. કુલ 182 બેઠકોવાળી વિધાનસભામાં ભાજપના 111 અને કોંગ્રેસના 65 ધારાસભ્યો છે. હાલમાં 2 બેઠક BTP, 1 બેઠક NCP અને એક બેઠક અપક્ષ પાસે છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણી પછી ભાજપના ખાતામાં 12 બેઠકો આવી છે. ત્યારે હાલ કોંગ્રેસની મહેનત રંગ નથી લાવી. પેટાચૂંટણીમાં હાર્દિકનો કોઇ ફાયદો નથી થયો. અમિત ચાવડાએ કહ્યું છે કે, લોકોનો રોષ મતમાં કેમ ન પરિણમ્યો તેનો અભ્યાસ કરીશું. આગામી સમયની રણનીતિ પર વિચાર કરીશું. હારના કારણોનો વિગતવાર અભ્યાસ કરીશુ. ત્યારે જાણો હાર-જીતના કારણો...
ભાજપની જીતના કારણો
- ભાજપે આઠેય સીટ પર બુથ કક્ષાનું માઇક્રો પ્લાનિંગ કર્યું
- ભાજપને સીટ જીતવા માટે નેતાઓ-મંત્રીઓની ફોજ ઉતારી
- સંગઠન, ધારાસભ્ય, સાંસદ, મંત્રી વગેરેને માઇક્રો કામગીરી સોંપી
- એક પેજ-પાંચ સભ્યની ભાજપની નીતિ જીત માટે મહત્વની પુરવાર થઇ
- કેન્દ્ર અને રાજ્ય સરકારના કામને ઘર-ઘર સુધી પહોંચાડ્યા
- પોતાના વફાદાર મતદારને મતદાન મથક સુધી પહોંચાડ્યા
- કોરોના સમયમાં મોટી મિટિંગ ન થતા શેરી મિટિંગ અને ગામ મિટિંગ કરી
- કોંગ્રેસના આંકરિક કલહને મતમાં પરિવર્તિત કર્યો
- કટોકટીવાળી સીટ પર અપક્ષનું શસ્ત્ર વ્યુહાત્મક રીતે ઉતાર્યું
- રાજીનામુ આપનાર ત્રણ પૂર્વ ધારાસભ્યને સફળતા પુર્વક દૂર રાખ્યા
કોંગ્રેસની હારના કારણો
- 'પક્ષ પલ્ટુ' અને 'ખરીદાયેલા ધારાસભ્ય'નો મુદ્દો ગુજરાતની પ્રજાએ ન સ્વિકાર્યો
- ચૂંટણીમાં માઈક્રો પ્લાનિંગ કરવામાં કોંગ્રેસ નિષ્ફળ રહ્યું
- ચૂંટણી પ્રચારમાં કાર્યકરોથી માંડી મોટા નેતા અળગા રહ્યા
- કોંગ્રેસમાં સ્થાનિક સ્તરે આંતરિક વિખાવાદ હારનું કારણ બન્યો
- કોંગ્રેસ પોતાના પંરપરાગત મતદારોને મતદાન ન કરાવી શક્યો
- અપક્ષ ઉમેદવારના સમીકરણમાં કોંગ્રેસ પાર્ટી થાપ ખાઇ ગઇ
- કોગ્રેસના મોટા નેતાએ ઉમેદવારો વહેચી નિચલા સ્તરે ખોટો મેસેજ ગયો
- કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પર કોંગ્રેસનો મદાર ઠગારો નિવડ્યો
- કોંગ્રેસ પ્રજાના મુદ્દા સમજવામા નિષ્ફળ પુરવાર થઇ
- ખેતી, બેરોજગારી, કોરોના જેવા મુદ્દાને પ્રજાએ ન સ્વિકાર્યા
ભાજપની 8 બેઠકો પર જીત, કોંગ્રેસની તમામ બેઠકો પર હાર