રાજ્યમાં છ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. માત્ર ગુજરાત જ નહીં મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પરિણામો પણ આવી ગયા છે. આજે આવેલા આ પરિણામોએ કોંગ્રેસમાં આશાનો સંચાર કરી દીધો છે તો ભાજપને ઘટેલા વોટની સમીક્ષા કરવાની ફરજ પડી છે. ચૂંટણીમાં જીત માટે પ્રયત્નશીલ કોંગ્રેસને આ રીતે મળતી નાનકડી જીત પણ નવા પ્રાણ ફુંકવા માટે પ્રર્યાપ્ત છે.
કોંગ્રેસમાં થયો આશાનો સંચાર
નાનકડી જીતે ફૂંક્યા પ્રાણ
ભાજપના હાથમાંથી છીનવ્યું થરાદ
ગુજરાતના રાજકારણનું રાષ્ટ્રીય રીતે પણ ઘણું મહત્વ છે. કેમ કે, આ દેશના પ્રધાનમંત્રીનું આ હોમ સ્ટેટ છે. સમગ્ર દેશમાં ભગવો લહેરાવવા પ્રયાસરત ભાજપ પીએમના ગૃહ રાજ્યમાં જ પક્ષને નુકસાન થાય તે કદીએ સાંખી શકે નહી.
ભાજપની નેઈમપ્લેટ વાળા નેતાઓને નકાર્યા
પરંતુ આ ચૂંટણી છે તેમાં લોકો કોને પોતાની કમાન સોંપશે તે કહેવું અઘરું છે અને આ તેનું જ પરિણામ છે કે, રાધનપુર અને બાયડ બેઠક પર જનતાએ ભાજપની નેઈમપ્લેટ વાળા અને પ્રજાદ્રોહનું કલંક ધરાવતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને નકારી દીધા છે અને કોંગ્રેસના રઘુ દેસાઈ અને જશુભાઈ પટેલને વધાવી લીધા છે. તો થરાદ બેઠક કોંગ્રેસે ભાજપના હાથમાંથી ખૂંચવી લીધી છે અને ગુલાબસિંહના હાથમાં જીતનો ગુલાબ ધરી દીધો છે. આ રીતે મળેલો વિજય કોંગ્રેસમાં નવી આશાનો સંચાર કરી રહ્યો છે.
જનતાએ કાનમાં કહ્યું- જનતા વતી લડશો તો આવતીકાલ તમારી
ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાંથી સામૂહિક રીતે જાકારો મળ્યો હતો. લોકસભાની તમામ છવ્વીસબેઠકો માંથી એક પણ બેઠક કોંગ્રેસને મળી ન હતી.આથી વિધાનસભામાં સતત માર ખાતી આવતી કોંગ્રેસને લોકસભામાં પણ નિષ્ફળતા મળતાં કોંગ્રેસના પીઢ નેતાઓ પણ નિરાશ થઈ ગયા હતા. પરંતુ વિધાનસભાની આ પેટા ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસને જાણે જનતાએ ફરીવાર તૈયાર બેઠા થવા ઢંઢોળ્યા છે. ભાજપના આ તાપ વચ્ચે કોંગ્રેસને જનતાએ કાનમાં વાત કહી દીધી છે કે જનતા વચ્ચે આવશો અને જનતા વતી લડશો તો આવતીકાલ તમારી છે.
અમરાઈવાડી બેઠક પર ભારે રસાકસી બાદ ભાજપની જીત
હાલ ભલે કેન્દ્ર અને વિવિધ રાજ્યોમાં સત્તાસ્થાને ભાજપ બિરાજતી હોય અને તેના નામનો વિદેશમાં પણ ડંકો વાગતો હોય પરંતુ ગુજરાતમાં જનતાએ છ માંથી 3 બેઠક પર ભાજપની છત્રછાયા વાળા ઉમેદવારને નકારી દીધા છે. તો અમરાઈવાડી બેઠક પર લાંબી કવાયત બાદ જીતવા દીધા છે. દેશમાં ભાજપના પ્રતાપ અને તાપ વચ્ચે પણ પીએમના ગૃહ રાજ્યમાં છ બેઠક માંથી 3 બેઠક કોંગ્રેસે આંચકી લીધી તે નાનીસૂની વાત નથી. નાની તો પણ વાતનો જીતની છે અને એ પણ ભાજપના ગઢમાં. તો પછી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓની આશામાં પ્રાણ ફૂંકાય તે સ્વભાવિક છે. તેમને લાગે છે આ પરિવર્તનની શરૂઆત
રાજનીતિમાં કશું કાયમી નથી. નહી દોસ્ત, નહી હાર, નહી જીત, પરંતુ તેમ છતાં જે નેતા અને કાર્યકરો પ્રજાવચ્ચેથી બોધ લઈને નીકળશે અને તે પ્રમાણે વર્તે છે તેનુ રાજકીય આયુષ્ય લાંબું હોય છે આ સનાતન સત્ય છે. ભાજપની ભૂરકી વચ્ચે સચેત નાગરિકોનો આ જનાદેશ કોંગ્રેસને ભાવિના સંકેત આપી રહ્યો છે. હવે જાગવાનું કોંગ્રેસને છે. .