6 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત થયો છે. 21 ઓક્ટોબરે 6 બેઠકો માટે મતદાન યોજાશે ત્યારે અંતિમ દિવસે ઉમેદવારોએ પરસેવો પાડ્યો છે. લોકો સુધી પહોંચવા માટે રેલીઓનું આયોજન કરાયું છે. જાહેરમાં 5 વ્યક્તિઓ ભેગા થઇ પ્રચાર નહીં કરી શકે અને લાઉડ સ્પીકર પર પણ પ્રચાર નહીં કરી શકાય.
6 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત
21 ઓક્ટોબરે 6 બેઠકો માટે યોજાશે મતદાન
હવે આજથી ખાટલા બેઠકોનો દોર શરૂ થઇ જશે. હવે રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચારમાં લાગશે. રાધનપુર, બાયડ, થરાદ, લુણાવાડા, ખેરાલ અને અમરાઇવાડી બેઠક પર મતદાન યોજાશે. ત્યારે 24 ઓક્ટોબરે મત ગણતરી કરવામાં આવશે.
6 બેઠક પર 42 ઉમેદવાર મેદાને
ગુજરાતની 6 વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણી કુલ 42 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સૌથી વધુ 11 ઉમેદવાર અમરાઈવાડી વિધાનસભા બેઠક પર છે. જ્યારે રાધનપુર બેઠક પર 10 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉપરાંત થરાદ અને બાયડમાં 7-7 ઉમેદવારો, ખેરાલુમાં 4 અને લુણાવાડામાં સૌથી ઓછો એક ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે.
રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસીનો જંગ
નોંધનીય છે કે, પેટા ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે રસાકસીનો જંગ જામશે. બંન્ને પક્ષના ઉમેદવારોએ 6 બેઠક પર જીત હાંસલ કરવા માટે ભારે મહેનત કરી છે ત્યારે હવે જોવું જ રહ્યું કે પ્રજા ક્યાં પક્ષના ઉમેદવારને મત આપીને જીત અપાવે છે.
ચૂંટણી કમિશનરની પત્રકાર પરિષદ
ચૂંટણી કમિશનર મુરલી ક્રિષ્નને પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, 48 કલાક પહેલાં ચૂંટણી પ્રચાર બંધ થયાં છે. હવે 5 થી વધુ લોકો એકઠાં થઇને પ્રચાર કરી શકશે નહીં. આ સાથે જ મતદાતા ન હોય અને પ્રચાર માટે ગયેલાને મતદાન ક્ષેત્ર છોડવુ પડશે. તથા 1950 નંબર પર નાગરિકો ચૂંટણીને લગતી ફરિયાદ કરી શકશે.
કઇ બેઠક પર કોણ-કોણ ઉમેદવાર
રાજ્યની 6 બેઠક પર યોજાનારી પેટાચૂંટણીની વાત કરીએ તો રાધનપુરમાં ભાજપના અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસના રઘુ દેસાઇ ઉમેદવાર છે. જ્યારે બાયડમાં ધવલસિંહ ઝાલા સામે કોંગ્રેસના જશુ પટેલ મેદાનમાં છે. જ્યારે થરાદમાં જીવરાજ પટેલ સામે ગુલાબસિંહ રાજપૂત છે. ખેરાલુની વાત કરીએ તો ભાજપના અજમલ ઠાકોર સામે બાબુ ઠાકોર ઉમેદવાર છે. લુણાવાડામાં જિજ્ઞેશ સેવક સામે ગુલાબસિંહ ચૌહાણ છે. જ્યારે અમરાઇવાડીમાં જગદીશ પટેલ સામે કોંગ્રેસના ધર્મેશ પટેલ ચૂંટણી લડી રહ્યાં છે.
રાજ્યમાં યોજાનારી 6 બેઠકની પેટાચૂંટણીમાં સૌથી વધારે કવાયત ભાજપ દ્વારા કરવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. જેનું મુખ્ય કારણ છે કે પેટા ચૂંટણીમાં તમામ બેઠક પર ભાજપની સત્તા હતી. આમ સત્તા ટકાવી રાખવા માટે ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. જ્યારે સામે પક્ષે કોંગ્રેસભાજપ પાસેથી જીતવા પ્રયત્ન કરશે.
દેશભરમાં વિવિધ સ્થળે યોજાવાની છે ચૂંટણી
નોંધનીય છે કે, હરિયાણા-મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સહિત ગુજરાતની 6 બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણી તથા અન્ય રાજ્યોમાં પણ પેટાચૂંટણી માટેના પ્રચાર પડઘમ આજે શાંત થયાં હતા. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો, જ્યારે હરિયાણામાં 90 બેઠકો છે. આ ઉપરાંત ગુજરાત સહિત દેશના અલગ-અલગ રાજ્યોની 64 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે.
યૂપીમાં આ 11 બેઠકો પર યોજાશે પેટા ચૂંટણી
ઉલ્લેખનીય છે કે 21 ઓક્ટોબરે મતદાન યોજાઈ રહ્યું છે. યૂપી વિધાનસભાની પેટા ચૂંટણીની 11 સીટો માટે 110 ઉમેદવારો મેદાનમાં છે. પ્રદેશમાં સહાનપુરના ગંગોહ, રામપુર જિલ્લાના રામપુર, અલીગઢની ઈગલાસ, લખનઉની કૈંટ, કાનપુર નગરની ગોવિંદનગર, ચિત્રકૂટની માનિકપુર, પ્રતાપગઢની પ્રતાપગઢ, બારાબંકીની જૈદપુર, આંબેડકર નગરની જલાલપુર, બહરાઈચની બલહા અને મઉ જિલ્લાની ઘોસી વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી થવાની છે.
ભાજપ અને કોંગ્રેસના આ નેતાઓએ કર્યો છે પ્રચાર
ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ દેવસિંઘ, મહામંત્રી સંગઠન સુનિલ બંસલ અને રાજ્ય સરકારના મંત્રીઓએ ચૂંટણી સભાઓ અને બેઠક યોજી છે. તે જ સમયે, અન્ય નેતાઓએ કોંગ્રેસ માટે પ્રદેશ પ્રમુખ અજયકુમાર લલ્લુ અને સપા માટે પ્રદેશ પ્રમુખ નરેશ ઉત્તમ પટેલ સહિત પ્રચાર પણ કર્યો છે.