રાજ્યમાં આગામી 21 ઓક્ટોબરે 6 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. જેને લઇને રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યની 6 બેઠકોમાં અમરાઇવાડી, ખેરાલુ, થરાદ, બાયડ, લુણાવાડા અને રાધનપુર બેઠક પર પેટાચૂંટણી યોજાશે. 21 ઓક્ટોબરે મતદાન જ્યારે 24 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે.
મહેન્દ્રસિંહને ફરી રાજકિય એન્ટ્રી આપવા માટે તખ્તો તૈયાર
થરાદ બેઠક પર ભાજપનો શંકર ચૌધરી અને શૈલેષ પટેલને લઇને ફસાયો પેચ
રાજ્યમાં 21મી ઓક્ટોબરે મતદાન અને 24મીએ મતગણતરી
થરાદની બેઠક પર ભાજપનો પેચ ફસાયો
થરાદની બેઠકને લઇને ભાજપનો પેચ ફસાયો છે. શંકર ચૌધરી અને શૈલેષ પટેલને લઇને ભાજપ મૂંઝવણમાં છે. શૈલેષ પટેલ સાંસદ પરબત પટેલના દિકારી છે અને તેઓ પાર્ટીના કમિટમેન્ટના કારણે પ્રબળ દાવેદાર છે. જ્યારે શંકર ચૌધરીને વિધાનસભામાં લાવવા પાર્ટીના કેટલાક સિનિયર નેતાઓ સક્રિય છે. જ્યારે પરબત પટેલ શંકર ચૌધરીનો આંતરિક વિરોધ કરી રહ્યાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
બાયડ બેઠક પરથી મહેન્દ્રસિંહ વાઘેલા લડી શકે છે ચૂંટણી
રાજ્યની 6 બેઠકો પરની પેટાચૂંટણીમાંની એક બેઠક બાયડ છે. આ બેઠક પરથી સૂત્રોને મળતી માહિતી મુજબ એનસીપી નેતા શંકરસિંહ વાઘેલના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા આ બેઠક પરથી એનસીપીમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. ભાજપ છોડ્યા બાદ મહેન્દ્રસિંહ વાઘેલા હાલમાં નિષ્ક્રિય છે. આમ મહેન્દ્રસિંહને ફરી રાજકીય એન્ટ્રી આપવા માટે તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે.
ખેરાલુ બેઠક પર પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના ભાઇ દ્વારા લોબિંગ
રાજ્યમાં યોજાનારી આગામી 6 બેઠકની પેટાચૂંટણીમાં ખેરાલુ બેઠક પર ટિકિટ મેળવવા માટે લોબિંગ કરવામાં આવી રહ્યું છે. પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના ભાઇ દ્વારા આ બેઠકને લઇને લોબિંગ કરવામાં આવી રહ્યું છે. સૂત્રોને મળતી માહિતી મુજબ ભરતસિંહ પણ પરિવારને જ ટિકિટ મળે તેવા પ્રયાસ કરી રહ્યાં હોય તેવું જાણવા મળ્યું છે. જો કે ભાજપ દ્વારા ખેરાલુમાં ઠાકોર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવે તેવી સંભાવના છે.