કોરોનાકાળમાં સુરતમાં ભાજપનો સૌથી મોટો સ્નેહમિલન સમારોહ યોજાયો છે. રોડ-શો બાદ શહેરના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાયો છે. મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે.
કોરોનાકાળમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. કચ્છથી શરૂ થઈને દક્ષિણ ગુજરાત સુધી દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ થકી કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટેનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે(24 નવેમ્બર) સુરતમાં ભાજપનો સૌથી મોટો સ્નેહમિલન સમારોહ યોજાયો છે. અમિત શાહ પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા છે.
અમિત શાહે કહ્યું, રૂબરૂ આવવું હતું પણ વર્ચ્યુઅલી જોડાયો
આ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ જોડાયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, આપણે ત્યાં ભાજપની જૂની પરંપરા છે, દરેક નવા વર્ષમાં પાર્ટી નૂતન વર્ષાભિનંદનના કાર્યક્રમ કરે છે, પાટીલનો મારા પર ફોન આવ્યો હતો, આજે મેં નક્કી કરેલી મિટિંગ હતી, તો આવવું તો રૂબરૂ હતું, પરંતુ વર્ચ્યુઅલી જોડાયો છું. મેં પાટીલને કહ્યું છે કે આગામી સમયમાં કાર્યક્રમ કરજો અને મને સુરતીઓને મળવાનો મોકો આપજો.
આ વર્ષે સુરત 2જા નંબરે છે અને આવતા વર્ષે પહેલા નંબરે આવે તેવો સંકલ્પ કરીએઃ અમિત શાહ
વધુમાં અમિત શાહે કહ્યું કે, સ્વચ્છતામાં સુરતનો 2જો નંબર આવતા મેયર અને ટીમ અને સાથે જોડાયેલ કર્મચારી, અધિકારી, ભાજપના કાર્યકર્તાઓને હ્યદયપૂર્વક ખૂબ અભિનંદન આપું છું. આવતા વર્ષે સર્વેક્ષણમાં સુરત સમગ્ર દેશમાં પહેલો નંબર આવે તેવો સંકલ્પ આપણે કરીએ. ભાજપ તેમાં પણ ગુજરાત ભાજપ એવું સંગઠન છે, જે છેલ્લા 31 વર્ષથી ગુજરાતની જનતાએ આશીર્વાદ આપ્યા છે. સુરતના કાર્યકતાઓને અભિનંદન આપું છું.
સુરતમાં લઘુ ભારત વસેલું છેઃ અમિત શાહ
શાહે કહ્યું કે, સુરતમાં રહીએ કે જતા રહીએ, તમામે યાદ રહેવું જોઇએ કે સુરતમાં એક પણ રાજ્યનો નાગરિક ન હોય તેવું નથી. તમામ રાજ્યના લોકો સુરતમાં વસે છે. સુરતમાં લઘુ ભારત વસેલું છે. સુરતનો મતલબ ભારતનું મેન્ડેટ છે. સુરત સતત ભાજપને વિજય આપી રહ્યું છે.
ગુજરાત ભાજપનો પેજ મોડલનો પ્રયોગ હવે સમગ્ર દેશમાં અનુકરણીય થયો છેઃ અમિત શાહ
શાહે કહ્યું કે, પેજ મોડલ માટે સીઆર પાટીલ અને તેમની આખી ટીમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શુભકામનાઓ. આ મોડલે પાર્ટીમાં નવો વિચાર મૂક્યો છે. સંગઠન દ્વારા કઇ રીતે જીતી શકાય, લોકોને યોજનાઓ સમજાવી શકાય, લોકોની કપરાકાળમાં મદદ કરી શકાય તે પેજ મોડલથી થઇ શક્યું છે. ગુજરાતમાં આદર્શ સંગઠનનો પ્રયોગ કર્યો તે પ્રયોગ દેશભરમાં મોડલની જેમ અનુકરણીય થયો છે.
સૌરાષ્ટ્રના નાગરિકોએ પોતાના પ્રચંડ પુરૂષાર્થથી સુરતની શિકલ બદલવાનું કામ કર્યુંઃ અમિત શાહ
શાહે કહ્યું કે, સૌરાષ્ટ્રના નાગરિકોએ પોતાના પ્રચંડ પુરૂષાર્થથી સુરતની શિકલ બદલવાનું કામ કર્યું છે. ટેક્સ્ટાઇલ, હીરા ઉદ્યોગ, આઇટી કે પછી સમુદ્રના આધારે દરેક જગ્યાએ સુરતીઓએ પોતાનું ખમીર બતાવ્યું છે.
આર્થિક વિકાસની રાજધાનીની તમામ સંભાવના સુરતમાં પડી છે. કોરોના બાદ હવે આર્થિક ગતિવિધિ ખુબ ઝડપથી આગળ વધી છે. સુરતનું બહુ મોટું યોગદાન છે. આવનારા દિવસમાં 5 ટ્રિલિયન ઇકોનોમીનો લક્ષ્યાંક છે, તેમાં સુરત ખુબ મોટી ભૂમિકા નિભાવવાનું છે. આજે જ પ્રધાનમંત્રીએ નિર્ણય કર્યો છે, જેમાં ગરીબ કલ્યાણ યોજનાને હોળી સુધી લંબાવ્યું છે. 80 કરોડ લોકોને અનાજ આપવાની યોજના લંબાવી છે. દુનિયામાં આવું પેકેજ લાવવાની કોઈએ હિંમત નથી કરી. પ્રતિ વ્યક્તિ 5 કિલો અનાજ આપવાનું કામ કર્યું છે. 130 કરોડ લોકોને મફતમાં રસી આપવનું કામ કર્યું.
CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું, આપણે જીતવા માટે જનમ લીધો છે, આપણે 182 જીતવાની છે
આપણે જીતવા માટે જનમ લીધો છે, આપણે 182 જીતવાની છે. પેજ પ્રમુખ, પજે કમિટીએ તમામ યોજનાઓ સ્થળ ઉપર સારી રીતે બનાવી છે. દરેક કાર્યકર્તા તેમાં સક્રિય રીતે કામ કરી રહ્યો છે. આ મુદ્દાઓ આપણે જે પરિણામ મેળવવાનું છે તે મળવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ નડ્ડાજીના વિશ્વાસને 2022માં પૂર્ણ કરીશું.
CR પાટીલે કહ્યું, સ્વચ્છ સર્વેક્ષણમાં સુરત શહેરને બીજો નંબર મળ્યો
કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે, ભાજપનો આજનો કાર્યક્રમ સ્નેહમિલનનો છે, પરંતુ સાથોસાથ સ્વચ્છ સર્વેક્ષણમાં સુરત શહેરને બીજો નંબર મળ્યો છે. ત્યારે મનપાના તમામ અધિકારી અને કર્મચારીઓને કાર્યક્રમ સમર્પિત કરું છું. ભાજપના કાર્યકતાઓ જ્યારે નક્કી કરે છે. ચૂંટણીની તૈયારી કરતો હોય ત્યારે, અને ચૂંટણી ન હોય ત્યારે પણ ઉત્સાહ પૂર્વક હાજરી પૂરાવે છે, હાજર કાર્યકરોમાં ઉત્સાહ પૂરે છે. ભાજપનો કાર્યકર્તા હોવું ગૌરવની વાત છે. કાર્યકર્તા કામ સાથે જોડાય છે અને પરિણામ આપતો હોય છે, અને તેણે અનેક વખત પરિણામ આપ્યા છે.
2022 પહેલા ભાજપે મેસેજ આપ્યો છેઃ પાટીલ
2002ના નરેન્દ્ર મોદી સાહેબે અશ્વમેઘ યજ્ઞ ગુજરાતથી શરૂ કર્યો હતો, હાલ આ અશ્વ રથ આખા દેશમાં ફરી રહ્યો છે, આજે નરેન્દ્રભાઇના રથને કોઇ રોકી શકે તેમ નથી. આ રથ ફરતો ફરતો ફરી ગુજરાતમાં આવ્યો છે. નરેન્દ્ર ભાઇના અશ્વની રક્ષા માટે ભાજપના કાર્યકર્તા સંપૂર્ણ તૈયાર છે. 2022 પહેલા ભાજપે પહેલા મેસેજ આપ્યો છે. ભાજપના કાર્યકર્તાઓને લોકોનું ખુબ મોટું સમર્થન મળ્યું છે.
પાટીલે બતાવ્યો પાવર!
સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે પ્રદેશ પ્રમુખ પટેલના હોમટાઉનમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ ભાજપનો અંતિમ દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ છે. પોતાના હોમ ટાઉનમાં સ્નેહમિલન કાર્યક્રમ હોવાને કારણે પાટીલ પોતાનું સંગઠનાત્મક અને રાજકીય કદ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં કોઇ કસર બાકી રાખવામાં નથી આવી.
પાટીલના ગઢમાં ભાજપની રેલી
પાટીલે પોતાના ગઢમાં પાવર બતાવ્યો છે. અંદાજે 30 હજારથી વધુ કાર્યકરો સ્નેહમિલનમાં ઉપસ્થિત રહ્યા છે. કાર્યક્રમમાં હાજર રહેલી મેદની ચોંકવાનારી છે.
આ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા છે. જ્યારે કેન્દ્રમાં ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ માર્ગદર્શન આપશે. સી. આર. પાટીલનું માઈક્રો મેનેજમેન્ટ અને કાર્યકર્તાઓની ફોજને કારણે તેઓ દક્ષિણ ગુજરાતમાં કદાવર નેતા તરીકેની ઇમેજ ઊભી કરવામાં સફળ રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ બની ગયા બાદ સી.આર.પાટીલ હવે ભાજપના પ્રથમ પંક્તિના નેતાઓમાં ગણાય છે. પ્રદેશ અધ્યક્ષના હોમમાં કાર્યક્રમ હોવાથી શહેર કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ છે. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને ઉપસ્થિત હોવાથી શહેર ભાજપ સંગઠનમાં જુસ્સો અને જોમ વધુ મજબૂત થશે.