ગુજરાત પ્રદેશ ભાજપે અચાનક પૂર્વ CM વિજય રૂપાણીના ખાસ ગણાતા નીતિન ભારદ્વાજને સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી પદેથી હટાવતા રાજકીય વર્તુળમાં ચર્ચાઓ તેજ
રાજકોટના રાજકારણને લઇને સૌથી મોટા સમાચાર
પ્રદેશ ભાજપે નીતિન ભારદ્વાજને પ્રભારી પદેથી હટાવ્યા
નીતિન ભારદ્વાજ પૂર્વ CM વિજય રૂપાણીના નજીકના નેતા છે
ગુજરાતમાં ચૂંટણીની મોસમ હાલથી જામી ચૂકી છે. ભાજપ સંગઠનમાં જરૂરી ફેરફાર કરી રહ્યું છે. રાજકોટના રાજકારણને લઇને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીના ખાસ ગણાતા એવા નીતિન ભારદ્વાજનું પ્રભારી પદ લઈ લેવામાં આવ્યું છે.
નીતિન ભારદ્વાજ પૂર્વ CM વિજય રૂપાણીના નજીક
અચાનક નીતિન ભારદ્વાજને પદેથી હટાવતા રાજકીય ખળભળાટ મચ્યો છે. મહત્વનું છે કે નીતિન ભારદ્વાજને અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી પદે નિમવામાં આવ્યા હતા. આજે એકાએક પ્રદેશ ભાજપે પ્રભારી પદેથી હટાવવાનો નિર્ણય લેતા ચર્ચાઓ તેજ બની છે. આપને જણાવી દઈએ કે નીતિન ભારદ્વાજ પૂર્વ CM વિજય રૂપાણીના નજીકના નેતા છે, રાજકોટના આંતરિક ડખા વચ્ચે તેમનું પત્તું કપાયું હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે.
કોણ બન્યું સુરેન્દ્રનગર ભાજપ પ્રભારી?
નીતિન ભારદ્વાજના બદલે સુરેન્દ્રનગરના નવા પ્રભારી તરીકે સુરેશ ગોધાણીની નિમણૂંક કરી દેવામાં આવી છે. સહપ્રભારી નિમુબેન બાંભણીયાને યથાવત રાખવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી ચર્ચા
તો બીજીતરફ ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે, તાજેતરમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે, સૌરાષ્ટ્રના કોંગ્રેસના 6 MLA ગમે ત્યારે કેસરિયા કરી શકે છે. તારીખ 17 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં નવાજૂનીના રાજકીય સંકેત દેખાઇ રહ્યાં છે. કોંગ્રેસના કેટલાંક MLAs (ધારાસભ્યો) કન્ફર્મ ટિકિટ સાથે ભાજપમાં જોડાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં મજબૂત બેઠકના MLAની વિકેટ ખેડવવા ભાજપની વ્યૂહનીતિ તૈયાર કરી દેવાઇ છે. ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં ભાજપનું કેસરિયા ઓપરેશન ચાલી રહ્યું છે. ભાજપના મોટા નેતાઓની હાજરીમાં કોંગ્રેસના MLA ભાજપમાં જોડાઇ શકે છે.
ભાજપના કાર્યકરો પાસે ચૂંટણી લડવાની ત્રેવડ નથી: કગથરા
આથી સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી ચર્ચા મામલે લલિત કગથરાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં લલિત કગથરાએ કહ્યું કે, 'સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો કોંગ્રેસ છોડે તેવી ચર્ચા ચાલી રહી છે. જે માત્ર અફવા છે.' 'લલિત વસોયા ક્યાંય જવાના નથી. લલિત વસોયા કોંગ્રેસ સાથે જ છે.'એક તરફ ભાજપ કહે છે કે, હવે અમે કોઈને લેશું નહીં અને બીજી તરફ ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને લાલચ આપે છે. ભાજપના કાર્યકરો પાસે ચૂંટણી લડવાની ત્રેવડ નથી. અત્યારે ભાજપમાં 70 ટકા લોકો કોંગ્રેસના છે. જેના કારણે ભાજપના કાર્યકરો ગૂંગળામણ અનુભવે છે.'
17 ઓગસ્ટના રોજ નરેશ રાવલ અને રાજુ પરમાર કરશે કેસરિયા
મહત્વનું છે કે, તાજેતરમાં જ કોંગ્રેસ (Congress) સાથે છેડો ફાડી રાજીનામું આપનાર પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર 17 ઓગસ્ટે CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાશે. આ બંને નેતાઓએ તાજેતરમાં જ દિલ્હીમાં PM મોદી સાથે તેમજ ગુજરાતમાં CM ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.