કોરોનાની મહામારીમાં એક તરફ રાજ્યના 4 મહાનગરોમાં કરફ્યુનો માહોલ છે, તો બીજી તરફ નેતાઓ સન્માન કાર્યક્રમો અને રેલીઓ યોજી રહ્યા છે. તાજેતરમાં ચૂંટાયેલા ધારાસભ્ય આત્મારામ પરમારે રેલી યોજી હતી. ત્યારે હવે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ગુજરાતભરના તમામ ભાજપના આગેવાનો અને કાર્યકરોને મહત્વની સૂચના આપી છે.
કોરોના વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષનો કાર્યકરોને આદેશ
ભાજપના કોઈપણ કાર્યક્રમ ન કરવા CR પાટીલનો આદેશ
કોઈપણ પ્રકારના સંમેલનનો ન યોજવા કાર્યકરોને સૂચના
ભાજપે તમામ જાહેર કાર્યક્રમો પર રોક લગાવી છે. કોઈપણ પ્રકારના સંમેલનનો ન યોજવા કાર્યકરોને સૂચના આપવામાં આવી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે હાલ કોરોના સંક્રમણના વાતાવરણને અનુલક્ષીને ગુજરાતભરના તમામ ભાજપાના આગેવાનો તેમજ કાર્યકરોને સુચના આપી છે કે, અત્યારના સંજોગોને ધ્યાનમાં રાખીને નવી સૂચના ન મળે ત્યાં સુધી હાલ ભાજપ તરફથી કોઈપણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું નહીં. તેમજ અગાઉથી નક્કી થયેલ કાર્યક્રમો પણ રદ્દ કરવા.
ભાજપના નેતાઓએ યોજ્યા હતા કાર્યક્રમો
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટ વચ્ચે ગઇકાલે ભાજપના MLA આત્મારામ પરમારે સુરતના કરંજ ગામમાં સન્માન કાર્યક્રમ યોજ્યો હતો. તો ખેડાના ડાકોરમાં કોરોના વચ્ચે જીલ્લા ભાજપનો અભિવાદન સમારંભ યોજાયો હતો. જેમાં નવા પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણનો અભિવાદન સમારંભ યોજાયો હતો. આ સિવાય વેરાવળમાં પણ શહેર ભાજપનું સ્નેહ મિલન યોજાયું હતું. બોટાદમાં સૌરભ પટેલના સ્નેહમિલનનો કાર્યક્રમ હતો જેમાં ભીડ ભેગી થઈ હતી અને સામાજિક અંતરનો ભંગ થયો હતો એટલું જ નહીં પરંતુ કોવિડના નિયમોની ઐસી તૈસી કરવામાં આ ભીડમાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારો પણ હાજર હતા. જોકે કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા પણ સભાઓ યોજાઇ હોવાનું સામે આવ્યું છે.
VTVના મહામંથન બાદ ભાજપને થયું ભાન!
મહત્વનું છે એ VTV દ્વારા મહામંથનમાં નેતાઓ દ્વારા કોવિડ ગાઇડલાઇનના થતા ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોરોનાનું સંક્રમણ સૌથી વધુ સોશિયલ ડિસ્ટન્સ ના રહેતા ફેલાઈ રહ્યું છે. ત્યારે જો નેતાઓ જ નિયમો તોડે છે. VTVએ સામાજિક પ્લેટફોર્મ બનીને લોકોના મનમાં થતા સવાલોને પણ વાચા આપી છે. કર્ફ્યૂ કર્યુ સારી વાત છે. પરંતુ શું નેતાઓ નિરંકુશ થઈ રહ્યા છે. નેતાઓ માટે કોઈ નિયમો નથી હોતા. પ્રજા નિયમો પાળે તો નેતાઓ આ નિયમો કેમ તોડે છે આ સહિતના સવાલો પર છે મહામંથનમાં ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુજરાત ભાજપ દ્વારા આ અંગે નિર્ણય કરવામાં આવ્યો જે યોગ્ય છે.