ગુજરાત ભાજપમાં મોટા ફેરફારના એંધાણ છે. ત્યારે ભાજપના નવા પ્રમુખની જાહેરાત થઇ શકે છે. ત્યારે જૂલાઇના પ્રથમ સપ્તાહમાં મંત્રી મંડળની પણ જાહેરાત થઇ શકે છે. ગૃહમંત્રી અમિત શાહ આગામી 3 જુલાઈએ ગુજરાત આવશે. ત્યારે તેઓ ભાજપના સંગઠન અને સરકારના મંત્રી મંડળ અંગે મહત્વના નિર્ણયો લઇ શકે છે.
ભાજપના નવા પ્રમુખની થશે જાહેરાત
30 જૂને નવા પ્રમુખની થઇ શકે જાહેરાત
મંત્રી મંડળમાં મોટા ફેરફારોની શક્યતા
રાજ્યસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે ગુજરાતની સત્તાધારી પાર્ટી ભાજપના સંગઠન અને સરકારમાં કેટલાક ફેરફારો થવાની તૈયારીઓ થઇ રહી છે. કોરોનાના કારણે કેટલાક ફેરફારો અટકી પડ્યા હતા. ત્યારે હવે આ ફેરફારો અંગે વિચારણા શરૂ થઇ ચૂકી છે. તેવામાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ વાઘાણીની મુદત પૂરી થઈ ગઈ છે. જેથી નવા પ્રમુખથી માંડીને આખા સંગઠન સહિત રાજ્યના મંત્રી મંડળમાં ફેરફાર કરવાની દિશામાં પ્રક્રિયા શરૂ થઈ રહી છે.
ભાજપના પ્રમુખ પદના પ્રબળ દાવેદાર
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આવતા અઠવાડિયે ભાજપમાં કેટલાક ફેરફારો થવાના છે ત્યારે, ભાજપના પ્રદેશ પ્રમુખ પદના શંકર ચૌધરી અને ગોરધન ઝડફિયા પ્રબળ દાવેદાર છે. 30 જૂને નવા પ્રમુખની જાહેરતા થઇ શકે છે. ત્યારે પહેલી, બીજી, ત્રીજી જૂલાઇએ નવા હોદેદારોની વરણી થશે. જિલ્લા-તાલુકા સ્તરની જૂલાઇના શરૂઆતના દિવસમાં વરણી થશે.
કયા મંત્રીને પડતા મુકી શકાય છે ?
જૂલાઇના પહેલા અઠવાડિયામાં મંત્રી મંડળમાં ફેરફાર થવાની શક્યતાઓ છે. જેમાં ઇશ્વર પરમાર, વિભાવરીબેન દવે, ભૂપેન્દ્રસિંહ ચુ઼ડાસમા અને યોગેશ પટેલને પડતા મુકાઈ શકે છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજ્યના શિક્ષણને લઇને ઘણા સમયથી ચર્ચામાં હતા. જેમાં ભરતી, સ્કુલ ફી અને શૈક્ષણિક વિવાદોને લઇને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પર માછલા ધોવાયા છે. તો ઇશ્વર પરમારને મંત્રી બનાવાયા બાદ તેમની કામગીરી અને તેઓ ઓછા સક્રિય જણાયા છે. જેથી તેમના પદ પર કાપ મુકવામાં આવી શકે છે. તો વિભાવરીબેન દવેએ કોઇ ચર્ચા વગર સીધા નવરાત્રી વેકેશનની જાહેરાત કરી દીધી હતી. જેને લઇને હાઇકમાન્ડ નારાજ હોઇ શકે છે. તેથી હવે તેનું પદ પણ જોખમમાં છે.
કોને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન ?
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, જિતુ વાઘાણીને નવા મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવશે. તેમને કૃષિ મંત્રાલય જેવું મહત્વનું ખાતું મળી શકે છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને શિક્ષણખાતું મળી શકે છે. તેમની જગ્યાએ આર.સી.ફળદુને વિધાનસભાના અધ્યક્ષ બનાવાય તેવી સંભાવના છે. ઇશ્વર પરમારની જગ્યાએ આત્મારામ પરમારને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.