કોરોનાકાળમાં હજુય કેટલાંય મેળાવડાં, લગ્ન સમારંભ અને ધાર્મિક સ્થળો પર પ્રતિબંધ છે પરંતુ જ્યારે રાજકીય નેતાઓના સન્માન અને ઊજવણીની વાતો આવે ત્યારે સરકારના કાયદા નબળાં પડી જાય છે.
ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં
MLA હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
MLA હર્ષ સંઘવી હોસ્પિટલમાં ભરતી થયા
છેલ્લાં કેટલાંય દિવસોથી ભાજપ અને કોંગ્રેસના રાજકીય નેતાઓના મેળાવડાં અને ઊજવણીના દ્રશ્યો જોવા મળે છે ત્યારે એક એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે શું કોરોનાકાળમાં નિયમો માત્ર સામાન્ય માણસ માટે જ છે. શું કોરોના ખાલી સામાન્ય માણસ જ ફેલાવી શકે અને રાજકીય નેતાઓ નહીં?
ભાજપના ગરબાને કારણે ધારાસભ્ય થયા કોરોના પોઝિટિવ
ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ C R Patilનો સૌરાષ્ટ્ર પ્રવાસ ખુબ જ ચર્ચાસ્પદ રહ્યો હતો ત્યારે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સાથીદારોમાં ફફડાટ પેસી ગયો છે. કારણ કે, ભાજપના પ્રદેશ પ્રમુખના માનમાં જે ગરબા રમાયા હતા તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગથી લઈને કોરોનાની મહામારીને ભૂલીને ભાજપના નેતાઓ અને કાર્યકરો મન મૂકીને ગરબે મહાલ્યા હતા એવામાં એક ધારાસભ્યનો રિપોર્ટ પોઝિટિવ આવતા અન્યોમાં ફફડાટ પેસી ગયો છે.
ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોના સંક્રમિત થતાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. ધારાસભ્ય હર્ષ સંઘવીના સંપર્કમાં આવેલા લોકોની કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરાઇ છે.
ખોડલધામમાં ધૂમધામ ઊજવણી
ભાજપ પ્રદેશ અધ્યક્ષ C R Patil ની ખોડલધામમાં રજતુતુલા યોજાઈ, ગઢડામાં ભજન, દલિતો દ્વારા પણ કાર્યક્રમો યોજાયા અને હદ તો ત્યારે થઈ જ્યારે જાહેર માર્ગ પર ગરબા યોજાયા. આ તમામ ઉજવણીઓમાં કોરોનાની મહામારી અને સરકારી ગાઈડલાઈનનું ભાજપના જ નેતાઓએ સરેઆમ ઉલ્લઘંન કર્યુ હતુ ત્યારે હવે પાટીલના ઉત્તર ગુજરાતના પ્રવાસને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે.
કોંગ્રેસે પણ નિયમોના ધજાગરા ઉડાવ્યા હતાં
જો કે એકલું ભાજપ નહીં પરંતુ વિરોધ પક્ષ કોંગ્રેસે પણ કોરોનાકાળમાં ઊજવણી કરવામાં સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોને નેવે મૂક્યાં હતાં. થરાદની નગરપાલિકાની જીત વખતે જે દ્રશ્યો જોવા મળ્યાં હતાં તે ભાજપ અને કોંગ્રેસ બંનેને ભાઈ-ભાઈ કહેવડાવે તેવા જ હતાં.
ઉત્તર ગુજરાતમાં પણ શું આ જ રીતે ભાજપના રાજકીય મેળાવડાઓ ઉજવાશે?
સૌરાષ્ટ્રમાં જે રીતે ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગથી લઈને માસ્ક સુધીની ગાઈડલાઈનના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે એ જ રીતે શું ઉત્તર ગુજરાતમાં પણ કાર્યક્રમો યોજાશે? ત્યારે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે આ રાજકીય પ્રવાસ જરૂર પોઝિટિવ પુરવાર થશે પણ કોરોના પોઝિટિવના કેસો પણ વધશે. ત્યારે આશા રાખીએ કે આગામી સમયમાં
પણ આવી ઉજવણીઓ નહીં થાય.