ભાજપની 2 દિવસીય ચિંતન શિબિરમાં ચૂંટણીઓના પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવ્યું, વિપક્ષના અપપ્રચારને ટાળી શકાય તે માટે ચર્ચા કરાઇ
ભાજપની ચિંતન શિબિરમાં શું ચર્ચા થઇ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની યોજનાઓ અંગે ચિંતન કર્યું
આગામી દિવસોના કાર્યક્રમો અંગે મંથન થયું
કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો ચિંતન શિબિર કરી રહ્યાં છે. જો કે કોંગ્રેસની ચિંતનશિબિર તેમના પડકારોને લઇને છે જ્યારે ભાજપની શિબિર તેમની આગામી રણનીતિને લઇને છે. કોંગ્રેસ તેનો પંજો ફરી મજબૂત કરવા મથી રહ્યું છે. ભાજપ તેમના વિજયરથને આગળ ધપાવવા ચિંતન કરી રહ્યું છે.
કેન્દ્રના દિગ્ગજ નેતાઑએ સૂચનો આપ્યા
ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી આર પાટીલ સહિતના 40 સભ્યો સાથે મળેલી બેઠકમાં સરકાર અને સંગઠનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ચૂંટણી પૂર્વે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓને જન જન સુધી લઈ જવા નીર્ધાર કરાયો તો કેમ્પઈન અંગે પણ ચર્ચા કરવામા આવી.
ગુજરાતના રાજકારણના તમામ પાસાઓ પર ચર્ચા
મોંઘવારી-બેરોજગારી સહિતના મુદ્દાઓ વચ્ચે એન્ટી ઇન્કમબંસી પણ મુદ્દો છે ત્યારે વડાપ્રધાન ના ગુજરાત પ્રવાસ અને ચૂંટણી વ્યૂહરચના અંગે વિગતે ચર્ચા કરાઈ હતી. બેઠકમાં કોંગ્રેસ અને આપ ની સક્રિયતા અંગે ચર્ચાઓ થઈ તો સામાજિક આગેવાન નરેશ પટેલ જ્યાં સુધી રાજકીય નિર્ણય ના લે ત્યાં સુધી કોઈ ભાજપ હોદ્દેદારો એ તેમના વિશે ના બોલવા માટે પણ સૂચના આપવામાં આવી.
વિપક્ષના અપપ્રચારને ટાળી શકાય તે માટે પણ આયોજન: જીતુ વાઘાણી
આજે બીજા દિવસે અલગ અલગ ઝોન મુજબ પક્ષની સ્થિતિ વિશે બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. ભાજપ દ્વારા મગાવેલા બોર્ડ નીગમના નામો અતર્ગત પણ બેઠકમાં વિચાર-વિમર્શ થયું તેવી પણ માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. ભાજપની બે દિવસીય ચિંતન શિબિર બેઠક પૂર્ણ થયા બાદ સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું કે આ શિબિરમાં સરકારી યોજનાની સમીક્ષા કરવામાં આવી, તેમજ ચૂંટણીઓના પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવ્યું. વિપક્ષના અપપ્રચારને ટાળી શકાય તે માટે ચર્ચા કરવામા આવી.પાર્ટીના મોરચાના ટાસ્ક નક્કી કરવામાં આવ્યા છે. હવે કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્વીઓ જનતા સુધી લઇ જવાશે. લોકોને યોજનાઓનો લાભ મળે તે માટે પ્રયાસ કરવામાં આવશે.તેમજ વધુમાં કહ્યું કે લોકો સુધી પહોંચી શકાયે તે માટે કાર્યક્રમોનું આયોજન કરવામા આવશે. અને સરકારી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે.
2022માં જીત અને 2024ની રણનીતિની ચર્ચા થઈ: મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા
તો ચિંતન શિબિર બાદ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે 2022 ચૂંટણી માટેની યોજનાઓ અંગે ચિંતન કર્યું, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ માર્ગદર્શન આપ્યું. આગામી દિવસોના કાર્યક્રમો અંગે મંથન પણ થયું. તેમજ 2022માં જીત અને 2024ની રણનીતિ મુદ્દે ચર્ચા કરવામાં આવી. મનપા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હવે ચૂંટણીને લઇ મોરચાઓને સક્રિય કરાશે.