ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે પરંતુ રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા અત્યારથી તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે પહેલા કેજરીવાલ અને હવે આજે સિસોદિયા ગુજરાતના પ્રવાસે છે. સુરતના જાણીતા સમાજસેવી સવાણીએ 'ઝાડુ' પકડતા રાજકારણ ગરમાયું છે ત્યારે આ મુદ્દે નીતિન પટેલે આમ આદમી પાર્ટીને રોકડું પરખાવ્યું છે.
સવાણી આમ આદમી પાર્ટીમાં સામેલ થતાં નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન
નીતિન પટેલે કહ્યું કે ગુજરાતની છ કરોડ વસ્તી છે અને એમાં કોઈ પણ નાગરિક કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાઈ શકે છે અને વિચારધારા સાથે જોડાઈ શકે છે. પરંતુ મોટો ફરક ગુજરાતમાં અને દેશમાં રાજકીય પક્ષોનો નથી, રાજકીય પક્ષો દ્વારા પ્રજા સાથેનો સંપર્ક અને વિશ્વાસનું જીતવાનું કામ છે. નીતિન પટેલે કહ્યું કે પીએમ મોદીના વડપણ હેઠળ ગુજરાત અને કેન્દ્ર સરકાર દરેક વર્ગ અને દરેક સમાજના વિકાસ માટે તથા દેશની સુરક્ષા માટે અને દેશના ગૌરવ કામ કરે છે. 25 વર્ષથી કરોડો નાગરિકો ગુજરાત સરકારની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણીમાં અવિરત પ્રેમ અને આશીર્વાદ ભાજપને આપ્યો છે. એવામાં કોઈ પણ આવે કે જાય એમને અમે કોઈ પણ મહત્વ આપતા નથી. અમારો મહત્વ પ્રજા સાથે છે.
ઑક્સીજન રિપોર્ટ મુદ્દે કેજરીવાલ પર સાધ્યું નિશાન
આમ આદમી પાર્ટીનું નામ લીધા વિના નીતિન પટેલે કહ્યું કે જે પક્ષની વાત થઈ રહી છે એ પક્ષ તો માત્ર એક શહેર પૂરતો મર્યાદિત છે. એ પાર્ટી કેટલું ખોટું બોલે છે અને કેટલી ખોટી અફવાઓ ફેલાવે છે એ તો તાજેતરમાં જ સામે આવ્યું છે. રાજકીય કાગારોળ બચાવવા માટે અને પોતે કામ કરે છે એ બતાવવા માટે વાતાવરણ ઊભું કરવામાં આવ્યું અને બીજા રાજ્યોનું ઑક્સીજન ખોટી રીતે લઈ લીધો. આવી પાર્ટીને ગુજરાતમાં કોઇ સ્વીકારવાનું નથી.
થોડાઘણા લોકો પાર્ટીમાં જોડાય તે કોઈ મહત્વનું નથી : નીતિન પટેલ
કોરોના મહામારી અને વાવાઝોડા હોય કે પછી અન્ય કોઈ પણ કામગીરી હોય બધી જ બાબતે અમારા બધા નેતાઓ અને કાર્યકરો પ્રજાની વચ્ચે રહે છે અને મદદરૂપ થાય છે. થોડાઘણા લોકો એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જાય કોઈ નવી પાર્ટી આવે કે જાય એ કોઈ મહત્વનું નથી.
અમે આવી પાર્ટીની નોંધ શુદ્ધા લેવા તૈયાર નથી
આ પહેલા પણ આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઊભા રાખ્યા હતા ત્યારે પ્રજાએ નોંધ લીધી નથી. આ પક્ષ માત્ર જાહેરાતો પર ચાલે છે, બિનજરૂરી ખર્ચા કરે છે. દિલ્હીની સરકાર પ્રજાના પૈસા બગાડી રહી છે. પ્રજા દેશભક્ત છે અને ભાજપને ઈચ્છે છે એટલે જ અમે અન્ય પાર્ટીની એવી કોઈ વાતની નોંધ શુદ્ધા લેવા પણ તૈયાર નથી.
2022ને લઈને મોટો દાવો કર્યો
નીતિન પટેલે કહ્યું કે 2022ની ચૂંટણીમાં પણ પ્રજા ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી આશીર્વાદ આપશે.