પંજાબ પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં 5 જાન્યુઆરીએ ગંભીર ચૂકની ઘટના બની હતી. હાલ આ મામલે સુપ્રીમ કોર્ટે એક કમિટીની રચના કરી છે. ત્યારે ગુજરાત ભાજપે પંજાબ સરકાર અને પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે પંજાબ સરકાર પર કર્યા ગંભીર આરોપ
પંજાબ સરકાર અને પોલીસને રિપોર્ટ અપાયો હતો પરંતુ તેમણે અવગણ્યોઃ સી.આર.પાટીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબના ફિરોઝપુરમાં કેટલાક વિકાસકાર્યોનું લોકાર્પણ કરવાની સાથે એક સભા પણ સંબોધન કરવાના હતા. પરંતુ તેમની સુરક્ષા એટલી મોટી ચુક થઈ કે ફિરોઝપુરમાં આવેલા એક ફ્લાઈઓવર પર પ્રધાનમંત્રીનો કાફલો લગભગ 20 મિનિટ સુધી રોકાયેલો રહ્યો હતો. ખેડૂત પ્રદર્શનકારીઓને કારણે રોડ બ્લોક રહ્યો હતો. જેને લઇને પંજાબ સરકાર અને ત્યાંની પોલીસ સામે અનેક સવાલ ઉઠ્યા છે. સુરક્ષામાં આવડી મોટી ભૂલ કેટલી બની શકતી હતી ઘાતક? ત્યારે બુધવારે ગુજરાત ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા પંજાબ સરકાર અને પંજાબ પોલીસ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રીના જીવને જોખમ થાય તેવું કાવતરું ઘડવામાં આવ્યું હતું તેવા આક્ષેપ ભાજપ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. પંજાબ સરકાર અને મુખ્યમંત્રીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સૂચનાથી આ કાવતરું ઘડ્યું હોવાના આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે. પંજાબમાં PMની સુરક્ષાના ચૂકના મામલે તાજેતરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું હતું. આ મુદ્દે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ C R પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધી હતી.
આજ રોજ પ્રેસ કોન્ફરન્સ કરતા CR પાટીલે જણાવ્યું હતું કે, PM સુરક્ષાને લઇ ઘણા બધા ખુલાસા થઈ રહ્યા છે. પંજાબમાં હવામાન ખરાબ હોવાના કારણે રોડ માર્ગે ગયા હતા, આ રૂટ વિશે CM, મુખ્ય સચિવ અને DGPને જાણ કરાઈ હતી. ત્યાંની પ્રાઇવેટ ચેનલ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરાયું હતું, CIDના DCP દ્વારા ગડબડ થશે તેવો રિપોર્ટ અપાયો હતો. પંજાબ પોલીસ આવા આંદોલનકારીને સપોર્ટ કરતા હતા.
પંજાબ સરકાર અને પોલીસને રિપોર્ટ અપાયો હતો પરંતુ તેમણે અવગણ્યોઃ સી.આર.પાટીલ
સી.આર. પાટીલે જણાવ્યું કે, DGP દ્વારા પ્રધાનમંત્રીના આ રુટની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે ત્યાંની કોઈ પ્રાઇવેટ ચેનલ દ્વારા આ મામલે સ્ટિંગ ઓપરેશન કરાયું હતું. જેમાં વાતો સામે આવી છે તે ખુબ જ ગંભીર છે. પ્રધાનમંત્રીના રૂટ પર ગડબડ થશે તેવો સરકાર અને તંત્રને રિપોર્ટ આપવામાં આવ્યો હતો. છતા પણ રિપોર્ટને અવગણવામાં આવ્યા હતા.
પંજાબ પોલીસને ઘટનાની જાણ છતા આંદોલનકારીઓ સાથે ચા પીધી અને હસી મજાક કરીઃ સી.આર. પાટીલ
પાટીલે કહ્યું કે, પ્રધાનમંત્રીના કાફલાને આંદોલનકરીઓએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પંજાબ પોલીસે કોઇ પગલું ન ભર્યું પરંતુ તેમની સાથે ચા પીધી હતી અને હસી મજાક કરી હતી. પંજાબ પોલીસ પણ આંદોલનકારીઓને સપોર્ટ કરી હતી. ખાલીસ્તાનીઓની PN ગેંગ પણ આમાં સક્રિય હતી. પંજાબ સરકાર અને ત્યાંના મુખ્યમંત્રીએ આ વાતની અવગણના કરી હતી. શીખ સમયુદાય દ્વારા બુટ દેખાડનારને 1 લાખનું ઇનામ પણ જાહેર કરાયું હતું. તેમ છતાં આંદોલનકરીઓને આ રૂટ પર આવવા દેવાયા હતા.
પ્રધાનમંત્રીનો કાફલો રોકવામાં આવ્યો ત્યાંથી 10 કિમી દૂર હતી પાકિસ્તાન બોર્ડરઃ સી.આર. પાટીલ
વધુમાં પાટીલે કહ્યું કે, પ્રધાનમંત્રીના કાફલાને રોકવામાં આવ્યો હતો ત્યાંથી પાકિસ્તાનની બોર્ડર 10 કિમી દૂર હતી. દુશ્મન દેશ ટાર્ગેટ કરી શકે તેમ હતા, આસપાસમાં એપાર્ટમેન્ટ અને ઊંચી બિલ્ડિંગ હતી, ત્યાંથી પણ વિરોધીઓ પોતાનું નિશાન પાર પાડી શકે તેવું બની શકતું હતું. તે રૂટ પરથી પ્રધાનમંત્રી જવાના હોય તે રૂટને પહેલાથી જ સીલ કરવામાં આવે છે. પરંતુ પંજાબ સરકાર દ્વાર આવું કરાયું નથી. ત્યાંના મુખ્યમંત્રીએ એવું પણ કહ્યું છે કે હું અહીંનો રિપોર્ટ પ્રિયંકા ગાંધીને આપતો હતો તેમાં વ્યસ્ત હતો, પરંતુ પ્રિયંકા ગાંધી કોંગ્રેસના કાર્યકર્તા અને નેતા છે તેમને રિપોર્ટ આપે તે કેટલું યોગ્ય છે.
સભા સ્થળ પર 1 લાખથી વધુ લોકો એકઠા થવાના હતાઃ સી.આર. પાટીલ
પ્રધાનમંત્રીને જોખમ ઉભા થયા અને લોકો ટેન્શનમાં આવી જાય તેવા પ્રયાસો થયા હતા. પરંતુ મુખ્યમંત્રી દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યા હતા કે રેલીના સ્થળે ભીડ એકત્ર થવાની નથી. પરંતુ ત્યાં 1 લાખથી વધુ લોકો એકઠા થવાના હતા. આ લોકશાહી વાળા દેશમાં પ્રધાનમંત્રીને સાંભળવા માટે લાખો લોકો સભા સ્થળે આવતા હોય અને લોકો પહોંચે નહીં તે માટે પ્રયત્નો કરાયા. પ્રધાનમંત્રીને રોકવાનો પ્રયત્ન પહેલી વખત બન્યો છે. સ્ટિંગ ઓપરેશનમાં પણ સ્પષ્ટ છે કે મુખ્યમંત્રીનું વર્તન, વાણી અને જવાબ પર માફી માંગવી જોઈએ.
જે રીતે નરેન્દ્ર મોદીને રેલીને અટકાવવાનો પ્રયત્ન, સભા સ્થળ જતા અટકાવવાનો પ્રયત્ન, જીવને જોખમમાં આવે તેવા વાતવરણનો પ્રયત્ન, વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કર્યો છે. પ્રજા તેમને ક્યારેય માફ નહીં કરે, પંજાબને આના પરિણામો ભોગવવા પડશે.
શું છે મામલો ?
પંજાબ પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં 5 જાન્યુઆરીએ ગંભીર ચૂકની ઘટના બની હતી. પ્રધાનમંત્રી મોદીનો કાફલો જ્યારે ફિરોજપુરથી 30 કિમી દૂર હતો ત્યારે પ્રદર્શનકારીઓએ રસ્તાને બ્લોક કરી નાખ્યો હતો, આને કારણે પ્રધાનમંત્રી મોદીને લગભગ 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ રહેવું પડ્યું હતું. આ પછી પ્રધાનમંત્રીએ ફિરોજપુરની રેલી રદ કરી નાખી હતી અને દિલ્હી પાછા આવી ગયા હતા.
સુપ્રીમ કોર્ટે પાંચ સભ્યોનીસમિતિની રચનાની જાહેરાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામી કેવી રીતે થઈ તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક સમિતિની રચનાની જાહેરાત કરી છે. પાંચ સભ્યોની સમિતિ પંજાબમાં સુરક્ષાની ખામીઓની તપાસ કરશે. તેનું નેતૃત્વ નિવૃત ન્યાયાધીશ ઈન્દુ મલ્હોત્રા કરશે. સુપ્રીમ કોર્ટે હાલની તમામ તપાસ સમિતિઓ પર પણ રોક લગાવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પંજાબ સરકાર અને ગૃહ મંત્રાલય બંનેએ આ મામલે તપાસ કરવા માટે પોતાની સમિતિની રચના કરી હતી. બંનેએ કહ્યું હતું કે, તેઓ એક બીજાની તાપસ પર વિશ્વાસ નથી.